• રવિવાર, 29 જૂન, 2025

મેઘપર કુંભારડીમાં વરસાદી પાણીના ભરાવાથી લોકો પરેશાન

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના મેઘપર કુંભારડીના ઘનશ્યામ નગરમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, તેનો નિકાલ થતો નથી જેના કારણે રોગચાળાનો ખતરો છે અને ઘરની આગળ જ પાણી ભરાયેલું રહેતું હોવાથી બાળકો અને વડીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકે રજૂઆતો કર્યા પછી પણ સમસ્યાનું સમાધાન ન થતાં આ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા કચેરી આવીને નાયબ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. અહીં મોટી વસાહત છે. વરસાદ પછી મેદાનોમાં તળાવ જેવી સ્થિતિ છે. પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લાંબા સમયથી આ બધી સમસ્યાઓ છે. લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાને લઈને સુખાકારી-ત્વરિત સમસ્યાઓનું સમાધાન જરૂરી છે. અધિકારીઓએ લોકોને સાંભળ્યા પછી યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં ગટર, પાણી અને ખરાબ રસ્તા સહિતની સમસ્યાઓ છે, આ ઉપરાંત ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયેલું રહે છે. જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. મેઘપર કુંભારડીના આ ઘનશ્યામ નગરમાં પણ આવી જ સ્થિતિ છે અહીં દબાણ પણ છે, જેના કારણે પાણી નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. વહીવટી તંત્રે કામગીરી કરવાની ખાતરી આપી છે, ત્યારે ઝડપથી પગલાં ભરીને લોકોને કાનડતી સમસ્યાઓનો નિવેડો લાવવામાં આવે તે જરૂરી હોવાનું પત્રમાં જણાવાયું છે. 

Panchang

dd