કેરા (તા. ભુજ), તા. 28 : કચ્છમિત્રના
લાગણીસભર અહેવાલ પછી વધુ જાગેલાં તંત્રે અને કચ્છથી ગાંધીનગર સુધી આવેલી સક્રિયતા બાદ
દહીંસરાના અનિલ ખીમાણીનો મૃતદેહ અમદાવાદની વિમાની દુર્ઘટનાના સ્થળના કાટમાળમાંથી મળતાં
પરિવારજનોને સોંપાયો, જેની આખરી
વિધિ દહીંસરા ખાતે શનિવારે સાંજે કરાઈ હતી. જો કે, દેહ ન મળતાં
ગુરુવારે અનિલની પ્રતીક અંત્યેષ્ટિ થઈ હતી. આમ એક મોતમાં બેવાર અગ્નિસંસ્કારનો આ કરુણ
કિસ્સો બન્યો છે. અનિલના પિતા લાલજીભાઈએ કચ્છમિત્રના અહેવાલને ટાંકીને કહ્યું,
અખબારે અમારી સ્થિતિ વર્ણવ્યા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને પ્રભારીમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સતત પ્રયત્નો
કર્યા, રંગસૂત્રનું મેળવણું ન જ થતાં અંતે તંત્ર તાબડતોબ ઢગલો
પડેલા કાટમાળને હટાવ્યો અને અનિલનો દેહ ત્યાંથી મળતાં ડીએનએ પ્રક્રિયામાં સંબંધ સ્પષ્ટ
થઈ ગયો હતો. આમ આ અમદાવાદની વિમાની ગોઝારી ઘટનામાં 240 બાદ સૌથી અંતિમ 241મો ડીએએનએ મેચ આ અનિલનો થયો
હતો. ભુજ મામલતદાર શ્રી રાણાએ મૃતકના પિતાને જાણ કરી હતી અને શનિવારે સાંજે 14 દિવસનો વસમો ઈંતજાર પૂરો થયો
હતો અને અનિલનો દેહ ધાર્મિકવિધિ અંતિમયાત્રાએ પહોંચી શક્યો હતો. મામલતદાર એ.એન. શર્મા
અને માનકૂવા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.પી. ગોહિલ અને સ્ટાફ અંતિમવિધિમાં પહોંચ્યા હતા. અત્યંત કરુણ આ ઘટનાએ પટેલ ચોવીસીના દેશ-વિદેશના
વર્તુળોમાં ઊંડા આઘાતની લાગણી વ્યાપી હતી અને સાયબર તંતુએ રીતસર આક્રોશ અને દુ:ખ સપાટી
ઉપર આવી ગયું હતું. `કોઈ જગાડે
ત્યારે જાગવું' એવું શા માટે ?
અલબત્ત તંત્ર દ્વારા પરિજનોને યોગ્ય જવાબો અપાતા રહ્યા અને મળશેની આશાએ
બે સપ્તાહ જેટલો સમય ખેંચાઈ ગયો હતો. દહીંસરાના અગ્રણી કિશોરભાઈ પિંડોરિયાએ વિગતો ઉમેરતાં
જણાવ્યું કે, આખું ગામ શોકસંતપ્ત પરિવાર સાથે રહ્યું હતું. અગ્રણી
ભીમજી જોધાણી, અમદાવાદ સમાજના મેઘજીભાઈ ખેતાણી, રવજીભાઈ કેરાઈ સહિત ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા અને સભ્યોએ પરિજનોને
સાંત્વના આપી હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત આવા અત્યંત ગોઝારા સમયમાં આપ્તજનો
કરગરે ત્યારે મદદ કરવા આવવા કરતાં સામેથી પહોંચી જવું જોઈએ તેવા અભિપ્રાય જાગૃત વ્યક્તિઓએ
વહેતા કર્યા હતા.