નવી દિલ્હી, તા. 16 : પહેલી એપ્રિલથી
દેશના તમામ ટોલપ્લાઝા `કેશલેસ' થઈ જશે. મતલબ કે રોકડમાં ક્યાંય ચૂકવણું નહીં
કરાય. નવા નિયમ લાગુ થયા બાદ વાહનચાલકોએ ટોલટેક્સ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈનો
ઉપયોગ કરવો પડશે. દેશના માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ જાણકારી આપતાં
કહ્યું હતું કે, ટોલ પર રોકડ લેવડ-દેવડ પૂર્ણપણે બંધ કરી દેવાનો
ફેંસલો લેવાયો છે. આ પહેલ પ્રાયોગિક ધોરણે દેશના 25 ટોલપ્લાઝા પર અમલી છે, જે પહેલી એપ્રિલથી દેશભરમાં લાગુ કરી દેવાશે.
ટોલપ્લાઝા પર વાહનોને વારંવાર રોકીને ફરી દોડાવાતાં મોટા પ્રમાણમાં થઈ રહેલી પેટ્રોલ
અને ડીઝલની બરબાદી રોકવા તેમજ પારદર્શકતા લાવવા આ પહેલ કરાઈ છે. ટોલ વસૂલાતમાં થતી
હેરાફેરી, ગરબડ રોકવાના હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આ ફેંસલો
લેવાયો છે.