• શનિવાર, 27 જુલાઈ, 2024

`ચીન સાથે વિવાદ ઉકેલવો જરૂરી'

નવી દિલ્હી, તા. 10 : આગમી લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધ મહત્ત્વપૂર્ણ છે, પણ બંને દેશ વચ્ચે સીમાવિવાદ પર ઉકેલ જરૂરી ગણાવી ડ્રેગનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, મેગઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે, ચીન અને ભારત વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ ક્ષેત્રની દૃષ્ટિએ અને દુનિયા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, પણ બંને દેશ વચ્ચે લાંબા સમયથી સીમાક્ષેત્રની સ્થિતિ સારી નથી, તેથી મામલે તાત્કાલિક અસરથી બેઠક કરવી જોઈએ. જેથી મતભેદોને દૂર કરી શકાય તેમ કહી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, મને આશા અને વિશ્વાસ છે કે, રાજકીય અને સૈન્ય સ્તરે સકારાત્મક અને રચનાત્મક જોડાણના માધ્યમથી બંને સીમાઓ પર શાંતિ અને સ્થિરતા કાયમ કરી શકીશું. ઉપરાંત મોદીએ કાશ્મીર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, રમત-ગમત વિશેના આયોજનોથી યુવાઓમાં ઉત્સાહ છે. તેમણે વધુમાં કહ્યું કે, કાશ્મીરમાં 370 હટયા બાદ ત્યાંના લોકોને નવી જિંદગી મળી છે. હવે કાશ્મીરમાં ફોર્મુલા-4 રેસિંગ, મિસ વર્લ્ડ અને જી-20 જેવી મહત્ત્વપૂર્ણ સભાઓ પણ યોજાવાનું સંભવ થઈ શક્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાનને અભિનંદન આપતાં મોદીએ કહ્યું હતું કે, ભારતે હંમેશાં પોતાના ક્ષેત્રમાં આતંક અને હિંસાથી મુક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિથી આગળ વધવાની પહેલ કરી છે તેમ વડાપ્રધાને સાક્ષાત્કારમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang