ગાંધીધામ, તા. 22 : ભચાઉના સામખિયાળીથી જતી રાપર
જૂથ પાણી પુરવઠા યોજનાની પાણીની લાઇનમાં કાણાં પાડી તેમાંથી પાણીચોરી કરતા હોટેલના
પાંચ સંચાલક સામે ફરિયાદ થઇ હતી. આ શખ્સોએ રૂા. 1,47,764ની પાણીચોરી કરી હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
રાપર દ્વારા પાણીની લાઇનની દેખભાળ અને મરંમત, સારસંભાળ માટે અમદાવાદની આર.બી. કન્સ્ટ્રક્શન કંપનીને પાંચ વર્ષ માટે ઠેકો
આપ્યો છે. આ ખાનગી કંપનીના કર્મચારી એવા ફરિયાદી કલ્પેશસિંહ જીલુભા પઢિયાર ગત તા. 21/4ના વહેલી પરોઢે તેમના હસ્તકની
સામખિયાળી મઢી ત્રણ રસ્તાથી ચિત્રોડ સુધીમાં પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા, જ્યાં અમુક હોટેલના સંચાલકોએ 700 મિ.મી. વ્યાસની પાણીની લાઇનમાં
કાણાં પાડી તેમાંથી પાણીની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદીએ પોતાના
ઉપરી અધિકારીઓ અને સરકારી અધિકારીઓનું આ અંગે ધ્યાન દોર્યું હતું. દરમ્યાન, 6/5ના અધિકારીઓએ
અહીં આવી તપાસ હાથ ધરી હતી, જેમાં સામખિયાળી
- રાધનપુર ધોરીમાર્ગ રાયમલ બાપા મઢી પાસે ન્યૂ ભારત હોટેલના સંચાલક શંભુનાથ યોગીએ કાણાં
પાડી તેમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. રાયમલ મઢી પાસે હોટેલ મોમાઇ કૃપા
રેસ્ટોરન્ટના માલિક, સંચાલક કાના મારાજે પણ 15 મિ.મી.નું જોડાણ લીધું હતું.
જૂના કટારિયા-લાકડિયા ચાર રસ્તા, લાકડિયાની
અંદર જવાના અંડરગ્રાઉન્ડ માર્ગ નજીક ઢાબાના સંચાલક આમદ રાઉમાએ પણ 15 મિ.મી.નું જોડાણ મેળવ્યું હતું.
જૂના કટારિયા - લાકડિયા ચાર રસ્તા નજીક રાજવીર હોટેલના સંચાલક અજમેરસિંઘ સરદાર તથા
ખોડાસર પાટિયા નજીક માલાણી મહાદેવ હોટેલના સંચાલક હેમતારામ જાટએ પણ બિનઅધિકૃત રીતે
પાણીનું જોડાણ મેળવી સરકારી મિલકતમાં નુકસાન પહોંચાડયું હોવાનું બહાર આવ્યું હતું.
આ શખ્સોએ 15 દિવસમાં રૂા. 1,47,764ના 23,89,848 લિટર પાણીની ચોરી કરી હતી.
આ તમામ શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.