દયાપર (તા. લખપત), તા. 22 : લખપત તાલુકાના
મૂરચબાણ, સાયણ, આશાલડી તેમજ અંતરિયાળ
ગામડાંઓમાં ખનિજ ચોરીનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કર્યા પછીય
પ્રસાશન જાગૃત નથી ત્યારે આજે ભુજ ખનિજ ખાતાંની ટીમએ તાલુકાના આશાલડી ગામે ધબડાટી બોલાવી
હતી અને ત્રણ ટ્રક, હિટાચી મશીન-1 સાથે બેન્ટોનાઈટની 1 કરોડ 56 લાખની ખનિજચોરી પકડી હતી. આજે ધોળા દિવસે સાયણ ગામની દખણાદિ
સીમમાં ભારે વાહનોનો અવાજ આવતાં ગામલોકો-અગ્રણીઓ સીમમાં ગયા હતા અને બેન્ટોનાઈટ ચોરી
અંગે ગામલોકોએ બેઠક પણ કરી હતી, પરંતુ
બેઠકમાં એકસૂર થયો નહોતો અને તેની વચ્ચે અચાનક
ખાણ ખનિજ ખાતાની ટીમ લખપત તાલુકામાં આવી હતી.
આશાલડી પાસે ખનિજચોરી જતાં વાહનોની તપસ કરતાં ખનિજચોરી પર સપાટો બોલાવ્યો હતો. આ બાબતે
ખાણ ખનિજ ખાતા-ભુજનો ટેલિફોનિક સંપર્ક કરતાં નો-રિપ્લાય આવ્યો હતો પરંતુ નાયબ મામલતદાર
યુવરાજસિંહ ગોહિલનો સંપર્ક કરતાં તેમણે ખનિજચોરી પકડાઈ હોવાનું સમર્થન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા
સમયથી લખપત તા.માં. ખનિજચોરીનું પ્રમાણ વધ્યું છે અને ખાસ તો રાત્રે વાહનોની હેરાફેરી
થઈ રહી છે. હજુ વધુ ખનિજચોરી પકડાય તેવી શક્યતા પણ છે. જો કે, આ ખનિજચોરીમાં તોડની પણ આશંકા અગ્રણીઓએ વ્યકત કરી હતી.