• રવિવાર, 01 જૂન, 2025

મથલ ડેમ પાસે ચાર વાહનનો અકસ્માત

નખત્રાણા, તા. 21 : તાલુકાના મથલ ડેમ પાસે આજે ચાર વાહનની ટક્કર થઇ હતી. આ ચોવડા અકસ્માતમાં સદ્ભાગ્યે જાનહાનિ ટળી પણ બે જણ ઘાયલ થયા હતા. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. મથલ ડેમની નદી ઉપરના પુલનું કામ પણ ગોકળ ગતિએ થતું હોવાથી આગામી ચોમાસાંના દિવસોમાં આ માર્ગની સમસ્યા બેવડાવાની ભીતિ સેવાઇ રહી છે. અમારા નખત્રાણા બ્યૂરોના છગનભાઇ ઠક્કરના જણાવ્યાનુસાર મથલ ડેમથી નજીક  સ્વામિનરાયણ ગુરુકુળ પાસેના વશિષ્ટ ઉપવન પાસે આજે સવારે વાહનોની ભારે ઝડપી અવર-જવર વચ્ચે બે ટ્રેલર અને બે કાર સામસામે અથડાતાં સર્જાયેલા ચોવડા અકસ્માતમાં ડ્રાઇવર સહિત બે જણને ઇજા થતાં સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યારે રોડ સાઇડનો વીજપોલ ધરાશાયી થતાં નજીકના પાવર હાઉસને જાણ કરાતાં વીજ પુરવઠો બંધ કરવામાં આવતા સદ્ભાગ્યે મોટી જાનહાનિ થતાં અટકી ગઇ હતી. આ અકસ્માતના કારણે વાહનોના ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં એક કલાક સુધી ટ્રાફિકજામ થતાં મુશ્કેલી સર્જાઇ હતી. અકસ્માતોની પરંપરામાં મોખરે મથલ ડેમની નદી ઉપરના નવા પુલના ચાલી રહેલા કામના કારણે સાઇડમાંથી નીકળેલા ડાયવર્ઝનના કારણે ચોમાસામાં વરસાદી પાણી અને ખાડા ટેકરાના કારણે ક્યારેક બે-ચાર કલાક સુધી વાહનોના ટ્રાફિક જામ થતાં મુશ્કેલી સર્જાય છે, તેવા સમય ઇમર્જન્સી સારવાર માટે લઇ જવાતાં દર્દીઓ માટે જીવન મરણનું જોખમ સર્જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નદી ઉપર ચાલતા નવા પુલનું કામ સૂત્રોના જણાવ્યા મુજબ ગોકળ ગતિએ  ચાલી રહ્યું છે, ત્યારે નજીકના દિવસોમાં ચોમાસું ઝળુંબી રહ્યું છે, ત્યારે  પુલનું કામ ઝડપથી પૂરું થાય તો  સમસ્યાનો અંત આવે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. બીજી તરફ અકસ્માત સંદર્ભે નખત્રાણા પી.આઇ. એ.એમ. મકવાણાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસતંત્ર ઝડપથી કામગીરી આદરી વાહન વ્યવહાર નિયમિત કરવામાં આવ્યો હતો. વાહનચાલકો પૈકીની ફરિયાદ લઇ પોલીસતંત્ર દ્વારા તપાસ આદરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd