ક્રિકેટમાં વીસ-વીસ ઓવરની મેચની લોકપ્રિયતા વધી રહી છે કેમ કે એમાં તીવ્ર રસાકસી છે, એક્સાઇટમેન્ટ છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની આવી જ ઉત્તેજના સાથે વાટ જોવાઇ રહી છે. ત્રીજી ડિસેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મતદારો કોને રાજગાદીએ બેસાડશે અને કોણ બિસ્તરા-પોટલા બાંધીને વિપક્ષી છાવણીમાં જશે એનો ફેંસલો થશે. દેશની રાજનીતિમાં હિન્દી બેલ્ટનાં રાજ્યોની ચૂંટણી હંમેશાં રસાકસીભરી મનાય છે. મતદારોનો ઝોક કોની તરફ?છે એના અનુમાનો વ્યક્ત થયાં છે. જુદી-જુદી ટીવી ન્યૂઝ ચેનલોના સર્વેક્ષણ મુજબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસનો જંગ જણાય છે. મધ્યપ્રદેશમાં મતદારોએ ફરી એકવાર ભાજપ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. શિવરાજસિંહ ચૌહાણના રાજપાટ ઉપર પસંદગી ઊતરશે એમ મનાય છે. રાજસ્થાનમાં તીવ્ર રસાકસી વચ્ચે ભાજપ પાતળી સરસાઇથી સત્તા મેળવે એવી ધારણા વ્યક્ત થઇ?છે. છત્તીસગઢમાં બઘેલને ઘેરવાના ભરચક પ્રયાસો છતાં કોંગ્રેસ શાસન ટકાવતી જણાય છે. તેલંગાણામાં ચંદ્રશેખર રાવના પગ નીચેથી ધરતી ખસકતી વર્તાય છે. અહીં કોંગ્રેસનો વિજય સંભવ છે જ્યારે મિઝોરમમાં ત્રિશંકુ સ્થિતિ છે, છતાં મિઝો નેશનલ ફ્રન્ટ આગળ છે. એકંદરે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ફાયદાકારક છે. મધ્યપ્રદેશનો ગઢ જાળવવા ઉપરાંત રાજસ્થાનમાં કેસરિયો લહેરાશે તો આગામી લોકસભા ચૂંટણી પહેલાંની ભાજપની મોટી સફળતા માની શકાય. તેલંગાણામાં કોંગ્રેસ વિજય મેળવશે તો તેની ધાક ન માત્ર દક્ષિણ ભારતમાં વધશે બલ્કે વિપક્ષી જોડાણ `ઇન્ડિયા'માં પણ?તેનો અવાજ મજબૂત બનશે. લોકસભા ચૂંટણી વખતે બીજા વિપક્ષી દળો સાથે બેઠકોની વહેંચણીની સોદાબાજી વખતે કોંગ્રેસ હજુ પોતાનો પક્ષ મજબૂત રીતે રાખી શકશે. રાજસ્થાનમાં એક્ઝિટ પોલ પ્રમાણે અશોક ગેહલોત હારતા દર્શાવાયા છે. કેટલાક સર્વે મુજબ બંને પક્ષ વચ્ચે `કાંટે કી ટક્કર'?જેવી સ્થિતિ છે. જે હોય તે, પરિણામો જાણવા માટે હવે એક જ દિવસની વાટ?જોવાની છે. એક્ઝિટ?પોલનાં અનુમાન જેમની વિરુદ્ધ છે એ પક્ષો કે નેતાઓ તેને સ્વીકારતા નથી અને ચમત્કારની આશા રાખી રહ્યા છે. એક્ઝિટ?પોલ સાચા પડે છે એની કોઇ?ગેરંટી નથી હોતી. ભૂતકાળમાં 2014ની લોકસભા ચૂંટણી વખતે કેન્દ્રમાં ભાજપ સરકાર બનશે એવી અટકળો થતી હતી, પરંતુ એક-બે અપવાદને બાદ કરતાં કોઇ?એજન્સી બેઠકોના સાચા આંકડા નજીકે પહોંચી શકી નહોતી. એવી જ રીતે 2004ની સંસદીય ચૂંટણીમાં એનડીએને 240થી વધુ બેઠક સાથે વિજેતા થશે એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. તેથી વિરુદ્ધ કેન્દ્રમાં ડો. મનમોહનના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર રચાઇ હતી. આ વખતે શું થશે ? એ પ્રશ્નનો જવાબ ત્રીજીએ બપોર સુધી મળી જશે.