ભુજ, તા. 2 : દયા, કરુણા અને જીવદયાના
સંદેશ સાથે વાગડ બે ચોવીસી સ્થા. જૈન મહિલા મંડળ, ભુજ દ્વારા
યોજાયેલી સેવાયાત્રામાં 56 મહિલા જોડાઈ હતી. પ્રમુખ
જ્યશ્રીબેન ખંડોલના અધ્યક્ષસ્થાને વહેલી સવારે છ વાગ્યે મહિલાઓએ રાપર તરફ પ્રસ્થાન
કર્યું હતું. મહિલા મંડળ દ્વારા નમસ્કાર તીર્થ ખાતે સમૂહ સામાયિક કરાયું હતું.
મંત્રી નિર્મળાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. ખજાનચી હંસાબેન મહેતા તથા
જ્યોતિબેન શેઠ દ્વારા ધાર્મિક ગેમ્સ યોજાઈ હતી. દેરાસરમાં પ્રાર્થના ગ્રુપના
કન્વીનર ઉર્મિલાબેન મોરબિયા અને ભાવનાબેન મહેતા દ્વારા સ્તવન કરાયા હતા. યોગ
પ્રશિક્ષક લતાબેન વોરાએ યોગના શારીરિક અને માનસિક આરોગ્યલક્ષી મહત્ત્વ અંગે
માર્ગદર્શન આપ્યું હતું. યાત્રા દરમિયાન મહિલાઓએ વિવિધ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ
ત્યાં ચાલી રહેલી સેવાપ્રવૃત્તિઓને નિહાળી હતી. મહિલા મંડળ દ્વારા રાપર
પાંજરાપોળને રૂા. 51,000, સોનટેકરીને રૂા. 25,000, મહાવીર
કલ્યાણ કેન્દ્રને રૂા. 5,000 અને ફતેગઢ જીવદયા પ્રવૃત્તિને
રૂા. 11,000, રાપર પાંજરાપોળ માટે રૂા. 63,000 અને
સોનટેકરી માટે રૂા. 30,000નું અનુદાન અપાયું હતું.
સેવાયાત્રાને સફળ બનાવવા કારોબારી સભ્યો તેમજ પ્રાર્થના ગ્રુપના સભ્યોનો સહકાર
રહ્યો હતો. જીવદયા, કરુણા અને સામાજિક જવાબદારીના સંસ્કારોને જીવંત રાખતી આવી પહેલો સમાજમાં
સકારાત્મક પરિવર્તન લાવવા માટે મક્કમ પાયા સમાન બની રહી છે, તેવું
યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.