માંડવી, તા. 7 : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા
નિગમ લિમિટેડ દ્વારા માંડવી ખાતે ટેકાના ભાવે બાજરી ખરીદીની કામગીરીને ખેડૂતો તરફથી
સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ખરીદી
પ્રક્રિયા પારદર્શક રીતે ચાલી રહી છે. ખરીદી કેન્દ્ર ખાતે 290 ખેડૂતને એસ.એમ.એસ. દ્વારા ખરીદી
માટે જાણ કરાઇ હતી, જેમાંથી 253 ખેડૂત કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા
હતા. તેમની પાસેથી કુલ 792.45 મેટ્રિક
ટન બાજરી ખરીદી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર કામગીરી નાયબ જિલ્લા મેનેજર વી.બી. જાદવનાં માર્ગદર્શન હેઠળ ચાલી હતી.
ખરીદ અધિકારી ચિરાગ ઠાકોરે જણાવ્યું હતું કે, ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક કરાઇ છે, જેથી ખેડૂતોને
મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર
દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી થવાથી તેમને યોગ્ય ભાવ મળતાં આર્થિક રાહત મળી છે.
આ અભિયાન તા. 15-7 સુધી ચાલુ
રહેશે. માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઇ રાબડિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી થવી
એ ખેડૂતો માટે આવકારદાયક નિર્ણય છે. તેમણે માંગ કરી હતી કે, ખેડૂતો
જેટલી બાજરીનું ઉત્પાદન કરે છે તેટલું સમગ્ર
ઉત્પાદન સરકાર ટેકાના ભાવે ખરીદે, જેથી ખેડૂતને યોજનાને લાભ મળી
શકે. સરકારના ટેકાના ભાવ ખરીદી સમયસર થાય તેવી માગણી કરાઇ હતી.