નખત્રાણા, તા. 11 : વીતેલી સદીઓમાં લોકો તથા પશુધનને
પીવાનાં પાણી માટેનું સર્વોત્તમ સાધન તળાવો હતા. નખત્રાણા ગામની સ્થાપના થઇ તે સમયે
400 વર્ષ પૂર્વે નાની વિરાણી ગામના
રબારી સારંગભાઇએ પોતાના સ્વખર્ચે તળાવ બંધાવ્યું,
તેથી તળાવનું નામ સારંગસર પાળવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 20થી ઉપર સંખ્યામાં તળાવ હતા, તે પૈકીનું સૌથી મોટું 16 એકર જેટલી જમીનમાં પથરાયેલ
તળાવને મોટાસર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયે આજુબાજુના દશેક જેટલા ગામના
પશુધનને પીવાનાં પાણી માટે ઉપયોગી પૂરવાર થઇ રહ્યું છે. રામેશ્વરના સામાજિક અગ્રણી
હંસરાજભાઇ ભગતે જણાવ્યું હતું કે, રામેશ્વરનું
જળાશય છેલ્લા બે દાયકાથી સારા વરસાદે પ્રતિ વર્ષે ઓગની જાય છે. આ તળાવમાં આવતી આવના
વહેણમાં ઝીલ વસાહત, પાટીદાર ભવન (બોર્ડિંગ), રાજપૂત છાત્રાલય, સાર્વજનિક છાત્રાલય સહિત સંસ્થાઓનું
ગટરનું ઓવરફ્લો અથવા તૂટી જતી લાઇનોનું પાણી મોટાસર (રામેશ્વર સરોવર) આવે છે. ઉપરાંત
માલધારી પશુપાલકો પોતાના ભેંસો-ઢોરને તળાવમાં નાખી દે છે, જેના
કારણે સ્વચ્છ પાણી ગંદું થાય ત્યારે દુર્ગંધ મારે છે, જેથી પશુઓ
માટે પીવાલાયક રહેતું નથી. આ સમસ્યા નિવારવા તથા આ સ્થળે ફરવા આવતા નગરજનોને સુવિધા
માટે તળાવ આસપાસ બાંકડા, ખુરશીઓ, બગીચાનું
નિર્માણ સુશોભન કરવા સહિત આકર્ષણરૂપ બનાવવા માંગ કરાઇ છે.