ગાંધીધામ, તા. 19 : દેશમાં શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા અને
ઉદ્યોગો સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે દેશના રાષ્ટ્રીય
સુરક્ષા સલાહકારને મળ્યું હતું અને અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી. દેશના એન.એસ.એ.
વડા અજિત ડોભાલને મુસ્લિમ સમાજના ઝફર શરેસવાલા, કેપી ગ્રુપના
ફારુક પટેલ, જર્મન સ્ટીલના ઇનામૂલ હક ઈરાકી, કચ્છથી એએસબી ગ્રુપના હાજી જુમા રાયમા, અલીગઢ મુસ્લિમ
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌશર
જહા, અલ્તાફ વોરા, ઝૂમ મીડિયા ગ્રુપના અંજુમન,
મુંબઈના પ્રતિનિધિ સહિત 20 લોકો મળ્યા હતા અને શિક્ષણ,
આરોગ્ય તથા રોજગાર અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા
સલાહકારે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને ભારતની મિસાલ એક જહાજ છે, જેમાં હિન્દુ-મુસ્લિમ સવાર છે, કિનારે લાગશે,
તો બધા લાગશે અને ડૂબશે તો પણ બધા ડૂબશે. તેમણે મુસ્લિમ સમાજમાં શિક્ષણ,
આરોગ્ય અને નોકરી, રોજગાર માટે સકારાત્મક વાત કહી
હતી અને દેશની એકતા અને અખંડિતતામાં સમાજ પાયાનો પથ્થર છે. અન્ય મુસ્લિમ દેશો કરતા
ભારતના મુસ્લિમ વધુ સુખી અને આઝાદ છે તેવું તેમણે જણાવ્યું હતું.