નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે
માર્ગ સુરક્ષા વધારવા માટે સમગ્ર દેશમાં લાગુ કરવા નવી માર્ગદર્શિકા જારી કરી હતી.
આ નવા નિર્દેશોમાં એક્સપ્રેસ-વે જેવા માર્ગો પર ભારે વાહનોમાં પાર્કિંગ પર રોક જેવા
નિયમો સામેલ છે. સર્વોચ્ચ અદાલતે મક્કમ સ્વરમાં કહ્યું હતું કે, વહીવટી તંત્રની સુસ્તી કે સુવિધાઓના અભાવનાં
કારણે એક્સપ્રેસ-વે `જોખમના કોરિડોર' બની જવા ન જોઇએ. જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને
એ.એસ. ચાંદુરકરની ખંડપીઠે માર્ગ અને પરિવહન મંત્રાલય, નેશનલ હાઇવે
ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ રાજ્યોને માર્ગો સુરક્ષિત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમે
કહ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતના માર્ગોની કુલ્લ લંબાઇના
માત્ર બે ટકા છે, પરંતુ માર્ગ અકસ્માતોથી મોતના પ્રમાણમાં આ ધોરીમાર્ગોનો
હિસ્સો 30 ટકા છે. નિર્દેશ લાગુ કરવાનું
કામ એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે કરાશે. રાજ્ય પોલીસને રિયલ ટાઇમ એલર્ટ
મોકલાવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય પોલીસ, રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓએ નિર્દેશોનું
પાલન કરવાનું રહેશે. સંબંધિત જિલ્લાઓના કલેક્ટરોએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)
તૈયાર કરવું પડશે તેવો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.