નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રનાં નામે સંબોધનમાં મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે
વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન તાક્યું હતું. વિપક્ષે હવે આ મામલે પલટવાર કર્યો છે. ભારતીય
કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્યસભા સાંસદ પી. સંદોષ કુમારે પીએમ મોદીનાં રાષ્ટ્ર જોગ સંબોધન
સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. સીપીઆઇ સાંસદે આરોપ મૂક્યો છે કે પીએમનાં સંબોધનનો
હેતુ રાજકીય હતો. જે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ મામલે તપાસ કરીને કાર્યવાહી
કરવા માગ કરવામાં આવી છે. ચૂંટણીપંચને લખેલા એક પત્રમાં સંતોષકુમારે જણાવ્યું કે તેનાથી
પણ વધુ ચિંતાજનક એ હતું કે આ સંબોધનનું પ્રસારણ દૂરદર્શન અને સંસદ ટીવી જેવાં રાષ્ટ્રીય
જાહેર પ્રસારકો પર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ
મોદીનાં રાષ્ટ્રનાં નામે સંબોધન ઉપર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે પીએમ મોદી ઉપર આરોપ
મૂક્યો હતો કે તેમણે સત્તાવાર સંબોધનને રાજકીય ભાષણમાં બદલી દીધું હતું. ખડગેએ કહ્યું
હતું કે પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કોંગ્રેસનો ઉલ્લેખ 59 વખત કર્યો હતો જ્યારે મહિલાઓનો
ઉલ્લેખ તો ખૂબ ઓછો થયો હતો.