ભચાઉ, તા.14 : વાગડમાં નર્મદા કેનાલમાં
વધુ એક વખત ગાબડુ પડયું હોવાની ઘટના બહાર આવતાં કેનાલનાં નબળાં કામની બાબત ફરી ઉજાગર થઈ
છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાગોદર પેટા કેનાલમા આજે સવારના અરસામાં પાણી
વહેતું થવાની સાથે જ કેનાલ તૂટી પડી હતી. ગાગોદરથી કુંભારિયા, પેથાપર થઈને વાંઢિયા જતી કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
છે. કેનાલની સમયસર મરંમત કરાતી ન હોવાના કારણે
વારંવાર ગાબડાં પડતાં હોવાનું ધરતીપુત્રોએ આક્રોશ સાથે જણાવ્યું હતું. દરમ્યાન
કાંઠા પટ્ટીના ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે
આજે જ્યાં કેનાલ તૂટી તે છેલ્લા એક
મહિનાથી કેનાલ તૂટેલી હાલતમાં છે. નર્મદા નિગમને જાણ કરાઈ હોવા છતાય સમારકામ અંગે
કોઈ કાર્યવાહી થઈ નથી. આગળનાં ગામડાંઓ દ્વારા
જીરાનો પાક લઈ લીધા બાદ આજે પાણી વહેતું કરાતાં જ
ભંગાણના કારણે પાણી વહી નીકળ્યું હતું. આ અંગે નર્મદા નિગમના જવાબદારોનો સંપર્ક
સાંધતા તેમણે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું
હતું.