ભુજ, તા. 31 : ભારત સરકાર સડક પરિવહન અને
રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાજ્યમાં એનએચ-41 220 કિ.મી.થી વધુ નલિયા-નારાયણ સરોવર પેવ્ડ શોલ્ડર બે લેનનું અપગ્રેડેશન
રૂા. 508 કરોડ 67 લાખ અને નેશનલ હાઇવે નં. 927-સી ચિત્રોડ-રાપર-બાલાસર રૂા.
698 કરોડ 78 લાખથી 58 કિ.મી.થી વધુ પેવ્ડ શોલ્ડર
સાથે બે લેન બનાવવાની મંજૂરી મળી છે.સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કુલ રૂા. 1207 કરોડ 45 લાખના કામોને મંજૂરી મળતાં
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિનભાઇ ગડકરીનો આભાર વ્યક્ત
કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી
કચ્છના બાકીના ભાગ સાથે જોડાણ સુધારાશે અને મુખ્ય ખનિજ મીઠા ઉદ્યોગ માટે અવર-જવર સરળ
બનશે, જે આર્થિક વિકાસમાં ફાળો આપશે. ઉપરાંત ટ્રાફિકમાં ઘટાડો,
માર્ગ સલામતીમાં સુધારો, વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો,
ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો તેમજ પ્રવાસન, સીમા
સુરક્ષા અને આર્થિક વિકાસને વેગ આપશે તેવું જણાવ્યું હતું. રાજ્યમંત્રી-અંજાર ધારાસભ્ય
ત્રિકમભાઇ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજા, રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા કરાયેલી રજૂઆત અને લોકમાગણીને
ધ્યાને લઇ નિર્ણય લેવાયો હતો.