શ્રીનગર, તા. 5 : કાશ્મીરમાં શનિવારે સુરક્ષાદળોને
મોટી સફળતા મળી હતી. આતંકવાદીઓ સાથે ઘર્ષણમાં લશ્કર-એ-તોયબાનો કમાંડર યાસિર ઠાર મરાયો
હતો. યાસિર પહેલાં બડે સુલેમાન મુસા જૂથનો સભ્ય હતો,
પરંતુ લગભગ એક વર્ષ પહેલાં આ જૂથથી અલગ થઇ ગયો હતો. ત્યારબાદ,
યાસિર કાશ્મીરના યુસમર્ગ વિસ્તારમાં તોયબાના એક પ્રમુખ કમાંડર તરીકે
સક્રિય હતો. લાંબા સમયથી તેની ગતિવિધિઓ પર સુરક્ષાદળો નજર રાખી રહ્યા હતા. યુસમર્ગમાં
ભીષણ એન્કાઉન્ટરમાં તોયબાનો આતંકી ઠાર મરાયો હતો. આ એક એન્કાઉન્ટર કાશ્મીરમાં જારી
આતંકવાદ વિરોધી અભિયાનનો ભાગ હતું. હવે સુરક્ષા એજન્સીઓ યાસિરનાં નેટવર્ક તેમજ તોયબાના
અન્ય આતંકીઓ સાથે તેના સંપર્કો અને તાજી આતંકવાદી ગતિવિધિઓની યોજના ઘડવા કે પાર પાડવામાં
તેની ભૂમિકાની તપાસ કરી રહી છે. અગાઉ, કાશ્મીરના બડગામમાં શુક્રવારે
સેના અને અન્ય સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણમાં પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. અન્ય
આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી બાદ સુરક્ષા દળોએ તલાશી અભિયાન છેડયું હતું. બે દિવસમાં
કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર થઇ ચૂકયા છે.