નવી દિલ્હી, તા. 16 : યુદ્ધ, ઉચાટ, અજંપાની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે ઈઝરાયલના
પ્રવાસે જઈ શકે છે. આ પ્રવાસ 24 અને 25 ફેબ્રુઆરીના
થવાની શક્યતા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુએ મોદીની સંભવિત યાત્રા
અંગે જાણકારી આપી હતી. વડાપ્રધાન પોતાના ત્રીજા કાર્યકાળમાં પહેલીવાર ઈઝરાયલ
મુલાકાતે જશે. એ પહેલાં 2017ના વર્ષમાં ગયા હતા. આ પ્રવાસનો
હેતું બન્ને દેશ વચ્ચે સુરક્ષા,
આતંકવાદ સામે લડાઈમાં સહયોગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જેવી
નવી ટેકનિકના ક્ષેત્રમાં સંબંધો વધુ મજબૂત કરવાનો છે. મનાઈ રહ્યું છે કે, મોદી અને નેતન્યાહુ વચ્ચે રક્ષા સહયોગ અને આતંકવાદ સામે સાથે મળીને લડવા
પર વાતચીત થશે. એ સિવાય એઆઈ, સાયબર સુરક્ષા, ક્વાંટમ રિસર્ચ, આધુનિક ખેતી જેવાં વિવિધ
ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થશે.
તાજેતરમાં જ ભારતને એક મોટો અને શક્તિશાળી દેશ લેખાવતાં નેતન્યાહુએ કહ્યું
હતું કે, મોદી ઈઝરાયલ આવી રહ્યા છે.