પ્રયાગરાજ, તા. 19 : અહીં ઈન્ડિયા ગઠબંધનની એક જાહેર સભામાં ભારે ધમાલ મચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની આ સભા દરમ્યાન બેકાબૂ ભીડે આડશો તોડી નાખી અને હંગામો કર્યો હતો, જેને લીધે રાહુલ અને અખિલેશે ભાષણ આપ્યા વિના જ ત્યાંથી જતા રહેવું પડયું હતું. આ ઘટનાક્રમમાં અમુક જણને સામાન્ય ઈજાઓ થઈ હતી તો મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ફૂલપુર લોકસભા બેઠક માટે પડિલા મહાદેવ ફાફામઉ ખાતે આયોજિત આ સભામાં રાહુલ અને અખિલેશનાં આગમન સમયે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને સંખ્યાબંધ કાર્યકરો રાહુલ અને અખિલેશને મળવા માટે નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. કાર્યકરોને અટકાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો એ ભીડ બેકાબૂ બની ગઈ હતી. ધમાલને પગલે રાહુલ અને અખિલેશ પ્રવચન કર્યા વિના જ સભાના સ્થળેથી જતા રહ્યા હતા. કાર્યકરોની ધમાલને પગલે અમુક જણને સામાન્ય ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે. સપાના વિધાનપરિષદ સભ્ય માનસિંહ યાદવે દાવો કર્યો હતો કે અમરનાથ મૌર્યના સમર્થનમાં આયોજિત આ સભા માટે ભાજપે પોલીસ કે દળોની કોઈ વ્યવસ્થા ગોઠવવા દીધી નહોતી જેને લીધે પરિસ્થિત પર કાબૂ મેળવી શકાયો નહોતો.