અંજાર, તા. 17 : અહીંના સિનુગ્રા વાડીવિસ્તારમાં
વધતા જતા ચોરીના બનાવ મુદ્દે ખેડૂતોઓએ સ્થાનિક પોલીસ પ્રશાસન સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી
હતી. સ્થાનિક ખેડૂતોઓએ પોલીસને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવાનો આંક ઊંચકાયો
છે. લાંબા સમયથી ગામ અને વાડીવિસ્તારોમાં રાત્રિના ચોરીના બનાવો વધ્યા છે. છેલ્લા બે
મહિનામાં 30થી વધુ વાડીઓમાં
કેબલચોરી સહિતના બનાવો બન્યા હોવાની રાવ કરાઈ
હતી. આ સ્થિતિમાં ખેડૂતોની પોતાની વાડી, ખેતીનાં સાધનો તેમજ જાનમાલની સુરક્ષાને લઈ ચિંતા ઊભી થઈ છે. માત્ર હૈયાધારણની
જગ્યાએ આ વિસ્તારમાં સઘન પોલીસ પ્રેટ્રોલિંગ કરી ઝડપી તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી
કરવાની માંગ કરાઈ હતી. સમગ્ર રજૂઆતોને સાંભળ્યા
બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની હૈયાધારણ અપાઈ
હતી. આ વેળાએ સરપંચ રામજીભાઈ વિસરિયા, ખેડૂત દેવજીભાઈ સુંઢા,
કેશવજીભાઈ મિત્રી, શામજીભાઈ સોરઠિયા, સૌભાગ્યલાલ ટાંક, જિગ્નેશભાઈ ટાંક, ક્ષિતિજભાઈ મિત્રી, કુંજ વાઢેર, અનિલભાઈ ખોડિયાર, રાજેશભાઈ આહીર સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. ખેડૂતોની રજૂઆત સમયે પોલીસ તંત્ર દ્વારા પત્રકારોને પોલીસ ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં
અંદર આવવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપો ઊઠયા હતા.