`િબ્રક્સ' શિખર
પરિષદ ધામધૂમથી મળી અને સંપન્ન થઈ. તમામ સભ્ય અને હાજર રહેલા સભ્યદેશોએ ખુશી અને સંતોષ
વ્યક્ત કર્યો. શિખર પરિષદની પૂર્વ સંધ્યાએ સિનિયર કોંગ્રેસી નેતા - પૂર્વ કેન્દ્રીય
પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, આ ફાલતુ તમાશો છે આમાં
કંઈ વળવાનું નથી. ભારતને કાંઈ મળવાનું નથી! હવે પરિષદની સફળ પૂર્ણાહુતિ પછી - શું વળ્યું?
અને ભારતને શું મળ્યું? તેની ચર્ચા માત્ર વિપક્ષો
કરી રહ્યા છે! ચર્ચા - અથવા વિવાદના કેન્દ્રમાં ચીન સાથેના સંબંધ સુધર્યા ખરા?
તે મુદ્દો છે અને બીજો `મહત્ત્વનો' મુદ્દો
રાહુલ ગાંધીએ ઉઠાવ્યો છે : વિદેશી અતિથિઓને શાકાહારી ભોજન આપવામાં આવ્યું - માંસાહારી
કેમ નહીં? ચીની પ્રમુખ શી જિનપિંગ સાથેની વિપક્ષી વાટાઘાટમાં
ગલવાન ખાતેની `મારામારી' થઈ - સશત્ર અથડામણ થઈ અને ભારતીય સૈનિકોએ ચીનાઓને
મારી હઠાવ્યા તે મુદ્દો તથા અત્યારે લદ્દાખ અને અરુણાચલપ્રદેશમાં ઘૂસણખોરીનો મુદ્દો
ઉઠાવાયો હોય તો મોદી મૌન કેમ છે? એવો સવાલ કોંગ્રેસી પ્રવક્તાએ
કર્યો છે, પણ અનુભવી પૂર્વ પ્રધાનોને ખબર હોવી જોઈએ કે આવી પરિષદ
દરમિયાન ક્યાંય, કોઈ પણ દેશમાં વિપક્ષી વાટાઘાટ થાય તે પરિષદના
અંતે `સંયુક્ત નિવેદન'માં આવે નહીં. ભારતના વિપક્ષો જરા ધીરજ ધરે
- વડા પ્રધાન મોદી એમને બોલાવીને અથવા સંસદમાં શાંતિ સ્થપાય તો અને ત્યારે વિગતવાર
અહેવાલ આપશે જ. વિપક્ષી નેતાઓ અને પ્રવક્તાઓ વિદેશનીતિ અંગે પોતાના જ્ઞાન-અજ્ઞાનનું
પ્રદર્શન કરવામાં ઉતાવળા થયા છે! શાકાહાર-માંસાહારનો મામલો રાહુલ ગાંધીને દાઢમાં વળગ્યો
લાગે છે! ભારતની એંસી ટકા આબાદી માંસાહારી છે એમની લાગણીને આઘાત પહોંચ્યાની ફરિયાદ
છે? પણ વિદેશી મહેમાનોને તો ભારતીય શાકાહારી વાનગીઓનો સ્વાદ દાઢમાં
રહી ગયો હશે! કોઈએ પડદા પાછળ-પત્રકારોના કાનમાં ફૂંક પણ મારી નથી કે અમે ભૂખ્યા રહી
ગયા! વિરોધ પક્ષોને ભારતના એંસી ટકા માંસાહારીઓની દુભાયેલી લાગણીનો સંતાપ છે,
પણ `જનોઈધારી
બ્રાહ્મણ'ની ચૂંટણી ભૂમિકા ભૂલી ગયા છે! ભારત નહીં,
પૂરી દુનિયામાં માંસાહારીઓની જબ્બર બહુમતી છે અને હવે ઘણા લોકો શાકાહારી
બની રહ્યા છે અને આપણા મહેમાનોએ કોઈ ફરિયાદ કરી નથી તો રાહુલજીના પેટમાં કેમ દુ:ખે
છે? એમના સિવાય કોંગસના કોઈ પણ નેતાએ શાકાહાર સામે વાંધો ઉઠાવ્યો
નથી તો પછી આ વાંધા વચકા શા માટે? શાદીમાં `ફૂફા'
(ફુઆ) નારાજ છે એમ બતાવવા માટે? વિદેશી મહેમાનો
- સરકારના હોય કે સમાજના - ભારતને જોવ- માણવા આવે છે - માંસાહાર તો એમના દેશમાં પણ
મળે છે, ભારતીય મહેમાનગતિ અને ભોજનનો સ્વાદ ચાખવાનો ઓડકાર પણ
ખાય છે! બાગેશ્વર બાબાએ બંગાળીઓને દુર્ગાપૂજા ઉત્સવ દરમિયાન માંસાહાર નહીં કરવાનો અનુરોધ
કર્યો તેનો વિરોધ થયો છે, ત્યારે રાહુલ ગાંધી એમ બતાવવા માગે
છે કે વિરોધમાં હમ ભી કિસી સે કમ નહીં?! પર્યુષણના પાવન ઉત્સવ
દરમિયાન જીવદયાની ભાવના મોદી ભૂલ્યા નથી : આપણને તેનું ગૌરવ હોવું જોઈએ.