ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં અગાઉ ગુમ થનાર બહાદૂર માનસંગ કોળી (ઉ.વ.30)ની રાનીપશુઓએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી આવી
હતી. બીજીબાજુ કંડલા પોર્ટમાં અરુણકુમાર અખિલેશ યાદવ (ઉ.વ.31)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. આધોઈનો બહાદૂર
કોળી હાલમાં ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો તે પોતાના મામાના ઘરે
આધોઈ ગયો હતો. માનસિક અસ્વસ્થ એવો આ યુવાન અગાઉ મામાના ઘરેથી નીકળી ગયો હતો અને ભીમનાથ
મહાદેવ મંદિર સામે બાવળની ઝાડીમાં સૂઈ ગયો હતો, જ્યાં કોઈ કારણે તેનું મોત થયું હતું. બાદમાં રાની પશુઓએ
લાશને ફાડી ખાધી હતી. તેની માત્ર ખોપડી મળી આવી હતી, જેનું ડી.એન.એ.
પરીક્ષણ કરાવતા તેના માતાના ડી.એન.એ. સાથે મેચ થયું હતું. આ બનાવની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે. બીજીબાજુ કંડલા પોર્ટમાં આપઘાતનો બનાવ બન્યો હતો. અરુણકુમાર નામના યુવાને
જે ડમ્પર ચલાવતો હતો તેની કેબિનમાં ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. આ પરપ્રાંતીય
યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે, તેની આગળની વધુ
તપાસ પોલીસે હાથ ધરી છે.