• સોમવાર, 09 જૂન, 2025

આરબીઆઈના હિંમતભર્યા રેપો કાપથી વિકાસની આશા

ભારતીય અર્થતંત્રે જે રીતે વિશ્વના ટોચના દેશોમાં સ્થાન મેળવવાની કમર કસી છે, તેની સાથે તાલ મીલાવવા ઘરઆંગણે અનિવાર્ય એવા આર્થિક પગલાં લેવાવાં શરૂ થઈ ગયાં છે.  ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) હિંમતભરી રીતે રેપો દરમાં અડધા ટકાનો કાપ મૂકીને દેશના ઉદ્યોગ જગતની સાથોસાથ સામાન્ય લોનધારકોને મોટી રાહત આપી છે. નીતિવિષયક રેપો દરમાં આ મોટો ઘટાડો થતાં હવે તે પ.પ ટકા થઈ ગયો છે. અર્થતંત્ર અને તેને સંબંધીત તમામ આર્થિક અને વેપારી ગતિવિધિ માટે ચાવીરૂપ આ દરમાં ઘટાડાની હકારાત્મક અસર પડશે, એવી આશા વ્યક્ત થવા લાગી છે.  છેલ્લાં ત્રણ વર્ષમાં આ દર સૌથી ઓછા સ્તરે છે.  અર્થતંત્રમાં થઈ રહેલા સુધારાને ધ્યાનમાં લેતાં આ વખતે આરબીઆઈ રેપો દરમાં 0.2પ ટકા જેટલો ઘટાડો કરી શકે છે, તેવી અપેક્ષા અર્થશાત્રીઓ અને નિષ્ણાતોને હતી, પણ અપેક્ષા કરતાં બે ગણો એટલે કે, 0.પ ટકાના આ ઘટાડાનો સીધો લાભ વિવિધ ક્ષેત્રોમાં થશે.  ખાસ તો હાઉસિંગ અને વાહનોની લોનમાં વ્યાજનો બોજો ઘટશે, તેની સાથોસાથ ઉદ્યોગોને ઓછા વ્યાજે ધિરાણ મળી શકશે.  આરબીઆઈના આ હિંમતભર્યાં પગલાંથી આર્થિક વિકાસને નવો વેગ મળશે એવી આશા પણ બળવત્તર બની છે. ખાસ તો છેલ્લા થોડા ત્રિમાસિક સમયગાળામાં આર્થિક વિકાસના માપદંડ જીડીપીમાં સ્થગિતતા અનુભવાતી રહી હતી. જીડીપીની આકારણીમાં ચાવીરૂપ બનતા ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં ઘટાડો ચિંતાજનક બની રહ્યો હતો.  સાથોસાથ અર્થતંત્ર માટેના અન્ય ચાવીરૂપ ક્ષેત્રો પણ હાંફી રહ્યાં હોય એવું ચિત્ર સામે આવતું હતું.   હવે આરબીઆઈએ રેપો દરમાં મોટો કાપ મૂકીને અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોને નવી તાકાત અને ઉત્સાહ આપવાનો માર્ગ મોકળો કર્યો છે. રેપો દરમાં કાપનાં પગલાંની સાથે તાલ મીલાવવા આરબીઆઈએ ક્રેડિટ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં પણ એક ટકાનો ઘટાડો કર્યો છે. આનાથી બેંકો પાસે રોકડની ઉપલબ્ધી વધશે. એક અંદાજ મુજબ સીઆરઆરમાં કાપને લીધે બેંકો પાસે વધારાની અઢી લાખ કરોડ રૂપિયાની રોકડ ઉપલબ્ધ થશે, જેને લીધે ધિરાણ આપવામાં કોઈ અંતરાય નડશે નહીં. રેપો દર અને સીઆરઆરનાં પગલાંથી દેશના અર્થતંત્રને વૈશ્વિક પડાકારોને પહોંચી વળવામાં મદદ મળશે.   ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિના દરમ્યાન ફુગાવાનો દર ઘટીને છ વર્ષનાં નીચલાં સ્તર 3.16 ટકા થઈ ગયો છે, તો આર્થિક વિકાસ દર પણ છેલ્લાં ચાર વર્ષનાં ઓછાંમાં ઓછાં સ્તર 6.પ ટકાએ પહોંચી ગયો છે. આવા સમયે આરબીઆઈએ લીધેલા પ્રોત્સાહક આર્થિક પગલાંને શેરબજારોએ ઉછાળા સાથે આવકાર આપ્યો છે. હવે આરબીઆઈએ દેશના પાયાના આર્થિક લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આર્થિક વિકાસ દરના લક્ષ્યને 6.પ ટકા જાળવી રાખ્યું છે. આ ઉપરાંત ફુગાવાના દરના અનુમાનને ચાર ટકાથી ઘટાડીને 3.7 ટકા કર્યું છે. સરકારના આ આર્થિક ઉપાયોથી દેશનાં ચાવીરૂપ ક્ષેત્રોમાં ધિરાણની માંગ વધવાની સાથે અર્થતંત્રને વિકાસ માટે જરૂરી માહોલ મળી શકશે, પણ આ ઉપરાંત સરકારે અમુક  પાયાની સમસ્યાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરત વર્તાઈ રહી છે. ખાસ તો જીએસટીના દર અને માળખાંમાં વધુ સરળીકરણના પગલાં લેવાની સાથોસાથ સીધા વિદેશી રોકાણના નિયમોને હળવા બનવવા તથા બાંધકામ ક્ષેત્રને કાચો માલ પૂરતાં પ્રમાણમાં અને કિફાયતી દરે ઉપલબ્ધ કરાવવા સરકારે ચાવીરૂપ પગલાં લેવા જોઈએ. આ થશે તો આરબીઆઈના હિંમતભર્યાં આર્થિક પગલાં વધુ પરિણામલક્ષી બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd