• સોમવાર, 09 જૂન, 2025

બંધ મોસમનાં કારણે જખૌ બંદર સૂમસામ

દયાપર (તા.લખપત), તા. 8 : અબડાસા તાલુકાનું જખૌ બંદર 18 બંદર પૈકી માછીમારી માટે વધુ મહત્ત્વ ધરાવે છે. પાંચ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં જખૌ બંદર પર મોસમ બંધ થતાં બોટને કિનારે રાખી પરિવારો પોતાના વતન તરફ ઉચાળા ભરી જતાં સમગ્ર વિસ્તાર સૂમસામ થઈ ગયો છે. દર વર્ષે પહેલી જૂનથી 15મી ઓગસ્ટ સુધી મત્સ્યોદ્યોગ દ્વારા બંધ મોસમનાં કારણે માછીમારી પર પ્રતિબંધનું જાહેરનામું અપાય છે. આ વર્ષે યુદ્ધનો માહોલ ઊભો થતાં મે મહિનામાં પણ માછીમારો માટે પ્રતિબંધ લગાવાયો હતો. હાલમાં અઢી મહિના બંધ મોસમ થતાં દક્ષિણ ગુજરાત, દીવ, ગીર, સોમનાથ, જામનગર તેમજ ગુજરાતના વિવિધ સ્થળોથી માછીમારી માટે આવતા પરિવારોએ માદરેવતનની વાટ પકડી છે, જેથી જખૌ બંદર સૂમસામ ભાસે છે. 200 જેટલા પઘડિયા માછીમાર છે, પણ પરિપત્રનું અર્થઘટન અલગ થતાં આ પરિવારો પણ નવરા બેઠા છે.  જખૌ બંદર માછીમાર અને બોટ એસોસીએશને કહ્યું હતું કે, મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી-ગાંધીનગર દ્વારા પરિપત્રમાં નોન મોટરાઈઝ્ડ ક્રાફ્ટ (લાકડાંની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોળી તથા પઘડિયા માછીમારોને બાકાત રાખવાનું સૂચવ્યું છે, પરંતુ સ્થાનિક મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા નારાયણ સરોવર, જખૌ, લખપત ત્રણેય પર પઘડિયા માછીમારો માટે પણ પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામામાં પણ પઘડિયાને મુક્ત રખાયા છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અર્થઘટન અલગ કરતાં પઘડિયા માછીમારો માટે સમસ્યા ઊભી થઈ છે. એસોસીએશનના પ્રમુખ અબ્દુલાછા પીરજાદા સૈયદે કહ્યું હતું કે, ત્રણેય સરકારી વિભાગ છે, પરિપત્રનું અર્થઘટન અલગ કરવામાં આવે તેની સજા પઘડિયા માછીમારોને થાય છે. પઘડિયા માછીમારો પોતા પૂરતો જથ્થો લઈ આવતા હોય છે અને દર વર્ષે તેમને બંધ મોસમમાં મુક્તિ અપાય છે. રોજનું કમાઈ રોજ ખાનારા પરિવારો પર પ્રતિબંધ હોય, તો ગુજરાન ચલાવવા વ્યક્તિ દિઠ રૂા. 400 કેશડોલ્સ આપવાની માંગ કરતો પત્ર રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને લખ્યો છે. ફક્ત ત્રણ બંદર પર પ્રતિબંધ કેમ તે પ્રશ્ન છે. જો આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે, તો મત્સ્યોદ્યોગ કચેરીની સામે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની પણ પત્રમાં ચીમકી અપાઈ છે. જિલ્લા મત્સ્યોદ્યોગ ખાતું અને કલેક્ટર કચેરી બન્નેના પરિપત્રમાં અલગ વિગત કેમ ? તેવો પ્રશ્ન ધંધાર્થીઓ કરી રહ્યા છે. અહીં 1200 બોટ છે, જેમાં 8500 (એક બોટમાં સાત જણ) અને તેના પરિવાર સહિત ગણીએ, તો 10 માસ 17000 જેટલા સભ્ય અહીં રહે છે. હાલે 1200 બોટ બંધ કરી દેવાઈ છે. જખૌ બંદર ધમધમતું હોય છે, પણ હાલમાં સૂમસામ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd