• સોમવાર, 09 જૂન, 2025

માંડવીનો ભીડબજારવાળો રોડ દબાણ હેઠળ

મોટા ભાડિયા (તા માંડવી), તા. 8 : માંડવીનો મહત્ત્વનો ગણાતો ભીડબજારથી શાકમાર્કેટ સુધીનો કે.ટી. શાહ રોડ આજે મોટાભાગના દુકાનદારોની દુકાન બહાર પોતાનો માલ રાખી દબાણ કરવાની નીતિથી સાવ સાંકડો બની ગયો છે અને તેનાથી પારાવાર મુશ્કેલી વેપાર અર્થે આવતા શહેર અને તાલુકાના લોકોને ભોગવવી પડે છે. અમુક વેપારીઓ પોતાની દુકાનની બહાર રસ્તા પર ચારથી પાંચ  ફૂટ સુધી પોતાના વેચાણ અર્થે રખાયેલો માલ  રસ્તા પર રાખી રીતસરનું દબાણ કરી બેઠા છે જેનાથી વાહનચાલકો, મહિલાઓ, વૃદ્ધોને ઘણીવાર તકલીફોનો સામનો કરવો પડે છે. દ્વિચક્રીય વાહનો પણ ક્યારેક અકસ્માતનો ભોગ બનવાનો સતત ભય રહેતો હોય છે. સતત ધમધમતા રહેતા  માર્ગ પર હટાણું કરવા આવતી પ્રજાને યાતાયાત માટે પીડા ભોગવવાનો વારો આવ્યો છે. વેપાર અર્થે આવતી વ્યક્તિ જો ભૂલથી આ દબાણની જગ્યા પર પડેલા માલની આસપાસ ઊભે અથવા સહેજ આજુબાજુ પોતાનું વાહન પાર્ક કરે તો તરત જ દુકાનના સંચાલક  તરફથી ટકોર કરવામાં આવે છે કે `એ ભાઈ જરા દૂર હટી જજો અમારો માલ પડ્યો છે.' ટકોર એવી રીતે કરવામાં આવતી હોય છે જાણે કે પોતાના અંગત માલને નુકસાન થઇ ગયું હોય તેવી અદાથી અમુક વેપારીઓ દબાયેલી જગ્યાને જાણે ખાનગી મિલકત સમજતા હોય તેવી ભાષામાં વાતચીત કરી રહ્યા છે. તાજેતરમાં એક દુકાનદારને પૂછતાં તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, જાહેર રસ્તા પર અમારું હરહંમેશ દબાણ હોય જ છે અને એ દબાણનું ભાડું માંડવી નગરપાલિકા દ્વારા અમારી પાસેથી ઉઘરાવાય છે, જે અંગેની પહોંચની વેપારી પાસેથી માગણી કરતાં તેમણે પહેંચ પણ આપી હતી અને કહ્યું હતું કે, દર માસે અમારી પાસેથી દબાણનું ભાડું નિયમિત રીતે વસૂલાય છે. દબાણની જગ્યા પર વસૂલાતા વોકર ફેરિયાના ભાડાં અંગે નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા અને હેડ ક્લાર્ક મનજીભાઈ પરમારને પૂછતાં તેમણે આ ભાડું ગેરવાજબી હોઈ અને ભાડું ઉઘરાવતી સંબંધિત એજન્સીને તાત્કાલિક અસરથી આ ભાડું બંધ કરવા સૂચના અપાઈ હોવાનું કહ્યું હતું. આ બાબતે નગર પાલિકાના તત્રવાહકો ગેરકાયદેસર રીતે ઉઘરાવાતાં ભાડાંથી સહમત ન હોવાની વાત સત્તાધીશોએ કરી હતી. સહેવી પડતી  આ મુશ્કેલી અંગે પ્રમુખ હરેશભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તાત્કાલિક અસરથી મુખ્ય બજારમાંથી તમામ દબાણો દૂર કરી રસ્તાને ખુલ્લો કરવામાં આવશે. રાહદારીઓ કે વેપારીઓને કોઈ રીતે મુશ્કેલી ન થાય તે માટે ટૂંક સમયમાં આયોજન હાથ ધરાશે તેવી તેમણે વાત કરી હતી. અત્રે એ ઉલ્લેખની છે કે, માંડવીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા તમામ કોમર્શિયલ દબાણોને તાજેતરમાં જ હટાવાયાં હતાં. આવી જ કાર્યવાહી અહીં થાય તેવી માંગ શહેરીજનોએ કરી હતી. ઉપરાંત મુખ્ય માર્ગ પરથી વેપારીઓ પોતાનું દબાણ દૂર કરે અને પ્રજાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સ્થાનિક ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગયા વર્ષે દિવાળીથી પહેલાં પોતાની ટીમને સાથે રાખી મોટાભાગની દુકાનો પર ફરીને આ દબાણ દૂર કરવા અપીલ કરી હતી. તેમની અપીલને પણ આ વેપારીઓ જાણે નકારી કાઢતાં હોય તેમ પોતાનો માલ રસ્તા પર રાખી દબાણ કરી રહ્યા છે. આ દબાણમાંથી તાત્કાલિક મુક્તિ મળે અને અને વેપાર અર્થે આ રોડ પર આવતી જનતાને કોઈ તકલીફ ભોગવવાનો વારો ન આવે તે જોવા તંત્રવાહકો તાત્કાલિકે ઘટતું કરે એવી માંગ શહેરીજનોએ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd