• સોમવાર, 09 જૂન, 2025

મણિપુર ફરી સળગ્યું : હિંસા બાદ કર્ફ્યુ

ઈમ્ફાલ, તા.8 : જયાં ગત 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન છે તે મણિપુરમાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે. પ્રદર્શનકારીઓએ મૈતેઈ સમુદાયના એક નેતાની ધરપકડના વિરોધમાં હિંસક વિરોધ પ્રદર્શન કરી અનેક વાહનો ફૂંકી માર્યા હતા. હિંસાને પગલે પાંચ જિલ્લામાં કફર્યુ લાદવામાં આવ્યો છે. તો ઈન્ટરનેટ બંધ કરાયું હતું. મણિપુરમાં મૈતેઈ સંગઠન અરમ્બાઈ ટેંગોલના નેતા કરણ સિંહ અને કેટલાક સભ્યોની સીબીઆઈએ ધરપકડ કરી છે. જે વાત ફેલાતાં જ શનિવાર રાતથી સમર્થકો હિંસા પર ઉતર્યા હતા. રાજધાની ઈમ્ફાલમાં અનેક વાહનોને આગચંપી કરાઈ હતી. રસ્તાઓ ઉપર ટાયરો અને જૂના ફર્નિચર સળગાવવામાં આવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ ખૂદને પેટ્રોલ છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. હિંસા રોકવાના પ્રયાસ દરમિયાન ઠેર ઠેર પોલિસ સાથે ઘર્ષણ થયું છે. રાજ્ય સરકારે સ્થિતિ કાબૂમાં લેવા 7 જૂન રાતના પોણા બાર વાગ્યાથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા સેવા બંધ કરી છે. પૂર્વ અને પશ્ચિમ ઈમ્ફાલ, થૌબલ, કાકચિંગ, બિષ્ણુપુરમાં સાવચેતીરુપ પગલાં લેવાયા છે. ઈમ્ફાલ પુર્વ અને બિષ્ણુપુરમાં રાતે 10 વાગ્યાથી કફર્યૂ લાદવો પડયો છે. ઈમ્ફાલ પુર્વના કલેક્ટરે જણાવ્યું કે હિંસાને પગલે પાંચથી વધુ લોકોને એકઠા થવા અને લાકડી, પથ્થર કે હથિયાર લઈને નિકળવા પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રદર્શનકારીઓએ પોતાના નેતાને છોડી મૂકવાની માગ કરી છે. તેમણે એરપોર્ટને પણ ઘેરાવ કર્યો છે. પશ્ચિમ ઈમ્ફાલમાં એક બસને આગ લગાવાઈ હતી. ઠેર ઠેર ગોળીબારના અવાજ સંભળાયા હતા પરંતુ ગોળીબાર કોણે કર્યો ? તે સ્પષ્ટ નથી. હિંસાને પગલે રાજભવન તરફ જતાં રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. વધારાના  કેન્દ્રિય દળોની તૈનાતી કરવામાં આવી છે. રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે પરંતુ વર્તમાન વિધાનસભા ભંગ કરવામાં આવી નથી. એનડીએની આગેવાની હેઠળના ધારાસભ્યો નવી સરકાર રચવા કવાયત કરી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલો હિંસક દોર અટકી રહ્યો નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd