• બુધવાર, 21 મે, 2025

સંધિ પછીએ સંગ્રામ; સૈન્ય પાક સરકારના કહ્યામાં નથી

તંત્રી સ્થાનેથી.. : પાકિસ્તાન તંગદિલી ઓછી કરવા યુદ્ધ નહીં વિસ્તારવાની સલાહ સ્વીકારવા તૈયાર થયું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાક. યુદ્ધવિરામ માટે તૈયાર છે, એવી જાહેરાત કરી અને ભારતે પણ તેને અનુમોદન આપ્યું. પાકિસ્તાન પાસે આમ પણ પસંદગીનો ઝાઝો અવકાશ નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ એમના નાના ભાઈ - વર્તમાન વડાપ્રધાન શાહબાઝને સલાહ આપી છે કે, ભારત સાથે લડવામાં ભલીવાર નથી. રાજદ્વારી કક્ષાએ સમજૂતી કરવી જોઈએ અને આ માટે `બેકડોર' પડદા પાછળ પ્રયત્ન કરવા જોઈએ - સલાહ સારી અને સાચી છે, પણ આ માટે વડાપ્રધાનના હાથમાં સત્તા ક્યા છે? લશ્કરી વડા - જનરલ મુનીર સત્તાધીશ છે ને આઈએસઆઈ પણ તેના હાથમાં કઠપૂતળી છે. આતંકવાદીઓના તમામ ગ્રુપ પણ મુનીરે ઊભા કરેલા ફરજંદ છે, તેથી વડાપ્રધાન કોઈ હલચલ કે ચૂંચાં કરે તો ઘર ભેગા થાય અથવા જેલમાં ઇમરાન ખાન સાથે રહેવું પડે. નવાઝ શરીઝ કારગિલ વખતે વડાપ્રધાન હતા, પણ મુશરફે એમને હાંસિયામાં ધકેલી દીધા હતા. હવે પાકિસ્તાનને બચાવવું હોય તો નવાઝ સાહેબની સેવા લઈ શકે. કારણ કે એમણે નરેન્દ્ર મોદી સાથે દોસ્તી-દારી રાખી હતી, પણ હવે જનરલ મુનીર સામે કોઈ માથું ઊંચું કરે એમ નથી. યુદ્ધવિરામની જાહેરાત થઇ, લોકોએ રાહત અનુભવી એના ત્રણેક કલાકમાં જ દગાબાજ પાકિસ્તાને ગુજરાતના કચ્છથી લઇને કાશ્મીર સુધી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ડ્રોન હુમલા શરૂ કર્યાના હેવાલ છે. અમેરિકાને ખાતરી આપ્યા પછી પાક સંધિનો ભંગ કરે ? સાચી વાત એ છે કે, પાકિસ્તાની સેના અને તેના માથાભારે જનરલ મુનીર સરકારના કહ્યામાં નથી. વળી, અત્યાર સુધી તટસ્થ રહેલું ચીન કૂદી પડયું છે અને પાકિસ્તાનને ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું છે. દેખીતી રીતે જ સમાધાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ભૂમિકાથી ગિન્નાયેલા ચીને પાકિસ્તાનને પોતાની પાંખમાં લેવા આ દાવ ખેલ્યો છે. અલબત્ત આ ઘટનાક્રમ ભયજનક છે અને આગામી લડાઈમાં ભારતે વધુ પડકાર ઝીલવા પડે એવી સંભાવના દેખાઈ રહી છે. આ લખાય છે ત્યારે કચ્છ, રાજસ્થાન, કાશ્મીરમાં ડ્રોન હુમલાના પ્રયાસ પછી અંધારપટ લાગુ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે દેવાળિયા અર્થતંત્રને બચાવવા માટે 2.3 બિલિયન ડોલરની લોન મંજૂર કરી છે! ભારતે રજૂઆત કરી હતી કે પાકિસ્તાન આવી નાણાકીય મદદ - ભીખ લઈને તેનો ઉપયોગ આતંકવાદના વિસ્તરણ અને આક્રમણ માટે કરે છે અને કરશે. આમ છતાં બોર્ડની મિટિંગમાં વોટિંગ થયું અને લોન મંજૂર થઈ ગઈ. બોર્ડના 25 સભ્ય દેશો છે અને એમનાં અર્થતંત્રની ક્ષમતા મુજબ વોટ હોય છે. ભારતે વિરોધમાં વોટ આપ્યો નહીં તેથી વિપક્ષ - કોંગ્રેસના જયરામ રમેશ ટીકા કરે છે કે, વિરોધમાં વોટ નોંધાવવો જોઈએ, પણ એમને ખબર નથી કે ભંડોળનાં બંધારણમાં વિરોધમાં વોટ આપવાનો પ્રબંધ નથી. વિરોધ કરવો હોય તો વોટિંગમાં `ગેરહાજર' રહી શકાય. પાકિસ્તાનનાં અર્થતંત્ર ઉપર અત્યારે 130 બિલિયન ડોલરનું કર્જ - દેવાંનો ભાર છે અને તેમાં મોટા ભાગનો હિસ્સો ચીનનો છે. વિદેશી હૂંડિયામણની અનામત માત્ર ત્રણ મહિનાના આયાત બિલ ભરવા જેટલી છે. આમ છતાં આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની લોન ઉપર લોન મળતી જાય છે. લડી લેવા માટે ત્રીજું કારણ છે : અમેરિકાના ઉપપ્રમુખે કહ્યું છે કે, અમે આ લડાઈમાં વચ્ચે પડવા માગતા નથી. આ અમારું કામ નથી! અમેરિકા આતંકવાદનો વિરોધ કરે છે, આપણને સમર્થન - સહાનુભૂતિ આપે છે, પણ સંવાદ અને સંયમની સલાહ આપે છે. આમ પણ અત્યારે યુક્રેન અને ઇઝરાયલના પક્ષમાં છે ત્યારે આપણા યુદ્ધમાં જોડાય તો પછી ચીન કૂદી પડે અને યુદ્ધ ગંભીર તબક્કામાં પ્રવેશે તેથી બહાર રહે તે જ સારું છે. આ સંજોગો એવા છે કે, પાકિસ્તાન થાકે ત્યારે પગે પડશે. અત્યારે ડ્રોન આક્રમણ `તીડનાં ઝૂંડ'ની જેમ થાય છે અને ભારત પહોંચી વળે છે - ડ્રોનના શિકાર કરવામાં આપણે સફળ થયા છીએ. એક અહેવાલ મુજબ ડ્રોનની કિંમત એક મોટરકારથી પણ ઓછી છે અને મારક શક્તિ વિમાનથી વધુ છે. યુક્રેન સૌથી સસ્તાં ડ્રોન બનાવે છે અને તેનું સંચાલન કરનારા પાઇલટ તૈયાર કરવા માટેની સ્કૂલ પણ ત્યાં છે. યુક્રેનના પાઇલટે ડ્રોનથી છ મહિનામાં 400 રશિયન સૈનિકોને માર્યા હતા. પાકિસ્તાને તુર્કી અને ચીન પાસેથી ડ્રોન અને મિસાઇલ્સ મેળવ્યાં છે તેથી આ લડાઈ સસ્તી પડે છે! આમ પણ પાકિસ્તાની સેના સામી છાતીએ લડવા તૈયાર નથી તેથી ડ્રોન ઉડાવીને ભારતનાં લશ્કરી મથકો ઉપર જાસૂસી કરીને પછી આતંકવાદી હુમલા કરવાનો પ્લાન છે. આપણે પણ લાંબી લડાઈ માટે સજ્જ છીએ. અનાજ, ખાદ્યતેલ અને ક્રૂડ-પેટ્રોલ-ડીઝલની વ્યવસ્થા થઈ ગઈ છે. કૃષિપ્રધાન શિવરાજ ચૌહાણે કહ્યું છે કે, આપણા અનાજ-કઠોળના અનામત ભંડાર ભર્યા છે. ચોખાનો અનામત સ્ટોક 356.42 લાખ ટન છે. ઘઉંનો સ્ટોક 383.32 લાખ ટન છે. સામાન્ય રીતે  બફર સ્ટોક હોય તેનાથી ઘણો વધુ છે. શિવરાજ ચૌહાણે વ્યાપારીઓને પણ સંગ્રહ અને નફાખોરી સામે ચેતવ્યા છે, પણ આજના નૂતન ભારતમાં વ્યાપારી સમાજની દેશભક્તિ પણ અજોડ છે તે જોવા મળશે. પાકિસ્તાનના કુપ્રચાર સામે આપણા નવયુવાનો સક્રિય છે. એકંદરે આપણે સજ્જ છીએ અને આ તો હજુ શરૂઆત છે, આપણા ભાથામાં હજુ મેગાસ્ત્ર તૈયાર છે, કુદરતની કૃપા છે અને અમોઘ શત્ર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd