અંજાર, તા. 10 : સુપ્રીમ કોર્ટે સરકારને શહેરોમાં
ફૂટપાથોને રાહદારીઓ માટે ખૂલી કરવા નિર્દેશ કરવા જણાવ્યું હતું, પરંતુ કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં ફૂટપાથો
ઉપર વેપારીઓ દ્વારા માલસામન રાખવામાં આવતો હોવાની સ્થિતિ સામે આવી છે. આ પરિસ્થિતિનાં
કારણે રાહદારીઓને ફૂટપાથ હોવા છતાંય રસ્તા વચ્ચે ચાલવું પડતું હોય છે. વહીવટી તંત્ર
દ્વારા પણ ફૂટપાથો પરથી દુકાનનો માલસમાન તેમજ બોર્ડને હટાવવાની કામગીરી લાંબા સમયથી
કરવામાં આવી નથી, જેના કારણે અંજારમાં મોટા ભાગની ફૂટપાથો પર
આ પ્રકારની જ સ્થિત સર્જાઈ છે. મળતી માહિતી મુજબ અમુક દુકાનદારો દ્વારા પોતાની દુકાન
બહાર ફૂટપાથ પાસે લારી રાખવા માટે લારીધારક પાસેથી અમુક નિશ્ચિત રકમ વસૂલી રહ્યા છે.
અકસ્માતો રોકવા અંગે વહીવટી તંત્ર દ્વારા આ દિશામાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ શહેરીજનોમાં
પ્રબળ બની છે.