નવીદિલ્હી, તા.21 : સમગ્ર દેશ ઉપર દુનિયાનાં મોટાભાગનાં
હિસ્સાઓમાં આજે 11મો આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ અતિઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો. પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી માંડીને
દક્ષિણ સુધી બુઝુર્ગો, યુવાનો,
મહિલાઓ અને બાળકોએ આ ભારતીય વિદ્યાભ્યાસથી સ્વાસ્થ્યનો સંદેશો આપ્યો
હતો. તો ભારતીય સેનાએ સિયાચીનની બર્ફીલી પહાડીઓથી લઈને પોર્ટ બ્લેર સુધી યોગનાં માધ્યમે
જનકલ્યાણનો સંદેશ વહેતો કર્યો હતો. ભારતમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ માટે આ યોગ દિવસ
વધુ ખાસ બની ગયો હતો અને બન્ને રાજ્યમાં ગિનિસ બૂકમાં યોગનાં વિશ્વ વિક્રમ નોંધાયા
હતાં. ગુજરાતમાં વડાપ્રધાન મોદીનાં ગૃહનગર વડનગરમાં બે મિનિટ અને નવ સેકન્ડ સુધી બે
હજાર લોકોએ ભુજંગાસન કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તો આંધ્રપ્રદેશમાં બે વિક્રમ બન્યા
હતાં. ત્યાં એકસાથે ત્રણ લાખ લોકોએ યોગ કરીને અને 2000 આદિવાસી છાત્રોએ એકસાથે 108 સૂર્યનમસ્કાર કરીને આ વિક્રમ
સર્જ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં ત્રણ લાખ લોકોની
ઉપસ્થિતિ વચ્ચે યોગાસનો કર્યા હતાં. જ્યાં પોતાનાં સંબોધનમાં મોદીએ યોગનાં માધ્યમથી
વૈશ્વિક શાંતિ અને સદ્ભાવનું આહ્વાન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે યોગની દુનિયાનાં તમામ ખૂણા સુધી પહોંચી
ગયો છે. સ્વાસ્થ્ય અને શાંતિનું તે વૈશ્વિક પ્રતીક બની ગયું છે. પછી તે સિડનીમાં ઓપેરા
હાઉસ હોય કે એવરેસ્ટની ટોચ, સમુદ્ર હોય કે વિસ્તાર, તમામ સ્થાને એક જ સંદેશ છે કે, યોગ બધાનો છે અને બધા
માટે છે. યોગની વૈશ્વિક સ્વીકૃતિ માત્ર પ્રતીકાત્મક નથી બલ્કે તે માનવ કલ્યાણ માટે
સંયુક્ત પ્રયાસ છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે, આપણા દિવ્યાંગ સાથીઓ યોગશાત્ર ભણે છે. વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં યોગ કરે છે અને
ગામેગામ યુવાનો યોગ ઓલમ્પિયાડમાં ભાગ લે છે. યોગનો સીધો અર્થ થાય છે જોડાણ અને એ જોવું
સુખદ છે કે, યોગે આખા વિશ્વને જોડયું છે. રક્ષામંત્રી રાજનાથ
સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુરમાં યોગદિવસ
સમારોહમાં ભાગ લીધો હતો અને સૈનિકો સમકક્ષ યુદ્ધની તત્પરતા અને તનાવ પ્રબંધન વધારવામાં
યોગનાં મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. એક સમયે આતંકવાદીઓને દહેશતથી જ્યાં ફફડાટ હતો તેવા
શ્રીનગરનાં લાલચોકમાં પણ આજે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને તેનાં સહિત કાશ્મીરનાં
વિભિન્ન જિલ્લાઓમાં પણ હજારો લોકોએ યોગ સમારોહમાં ભાગ લીધો હતો. સિયાચીન ગ્લેશિયરની
બર્ફીલી પહાડીઓની ઉંચાઈઓ, ઉત્તરમાં પેંગોંગ ત્સો તળાવનાં તટથી
લઈને દક્ષિણમાં પોર્ટ બ્લેરનાં શાંત સમુદ્ર તટો સુધી ભારતીય સેનાની ત્રણેય પાંખનાં
જવાનો આજે યોગાસન કરતાં નજરે પડયા હતાં. તો પૂર્વમાં અરુણાચલ પ્રદેશનાં કિબિથુથી લઈને
પશ્ચિમમાં કચ્છનાં રણ સુધી સૈનિકોએ યોગ કર્યા હતાં. આ રાષ્ટ્રવ્યાપી ભાગીદારી ઉપરાંત
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અને વિદેશોમાં તૈનાત ભારતીય સેનાકર્મીઓએ પણ યોગસત્રનો
લાભ ઉઠાવીને માનસિક અને ભાવનાત્મક મજબૂતીનો સંદેશ આપ્યો હતો.