ભુજ, તા. 21 : `યોગ એ ફ્ક્ત એક શારીરિક વ્યાયામ
નથી, જીવન જીવવાની કળા છે, તે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે
છે. આપણાં જીવનમાં સકારાત્મકતા આ યોગનાં માધ્યમથી આવે છે...' તેવું આજે 11મા આંતરરાષ્ટ્રીય
યોગદિનના જિલ્લા કક્ષાના ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું.
ભુજના સ્મૃતિવન ખાતે સવારે યોજાયેલા આ યોગ દિનની ઉજવણીના કાર્યક્રમમાં અંદાજે અઢી હજાર
લોકો જોડાતાં સ્મૃતિવન યોગમય બન્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી બાવળિયાએ વધુમાં ઉમેર્યું
હતું કે, જેનું શરીર સ્વસ્થ તેનું મન સ્વસ્થ અને દીર્ઘાયુ...
આજનો યોગ દિન એ માત્ર એક દિવસ પૂરતો નથી, પણ બાકીના 365 દિવસ પણ યોગ કરવાનો સંકલ્પ
લેવા કહી વધુમાં જણાવ્યું કે, ભારતના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી ઋષિ પરંપરા
યોગને વિશ્વના તમામ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરતાં તેને સંયુક્ત રાષ્ટ્ર
સંઘના 140 દેશોએ સ્વીકારતાં 21મી જૂન વિશ્વ યોગ દિન તરીકે જાહેર થયો. છેલ્લા
દશ વર્ષથી વિશ્વના લોકો આ યોગાભ્યાસથી દિન - પ્રતિદિન પોતાનું જીવન બહેતર બનાવી
રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત કરવા માટે જે આહ્વાન આપ્યું છે તેને આગળ વધારીએ અને યોગમય જીવનશૈલી
અપનાવવા શ્રી બાવળિયાએ અપીલ કરી હતી. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ યોગ દિનની
શુભેચ્છા પાઠવીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
આપણી સંસ્કૃતિ છે, વારસો છે, પરંપરા છે
અને આપણી વિરાસત છે એનો સંદેશો આખા વિશ્વને આપ્યો અને વિશ્વએ એને સ્વીકાર્યો. યોગ આપણને
જોડવાનું કામ કરે છે. મનને શાંતિ, સ્ફૂર્તિ અને તંદુરસ્તી આપવાનું
કામ કરે છે. યોગના માધ્યમથી આપણે પણ સ્વસ્થ રહીએ અને સમાજને સ્વસ્થ બનાવીએ તેવી અપીલ
કરી હતી. સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના
10થી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ
ભાગ લીધો હતો. અંજારનો કાર્યક્રમ આહીર બોર્ડિંગ ગ્રાઉન્ડ, ગાંધીધામનો
કાર્યક્રમ રમત-ગમત સંકુલ, રાપરનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ,
માંડવીનો કાર્યક્રમ ચૂનીલાલ વેલજી ઉદ્યાન, નખત્રાણાનો
કાર્યક્રમ ટી.ડી. વેલાણી હાઈસ્કૂલ, મુંદરાનો કાર્યક્રમ અદાણી
પબ્લિક સ્કૂલ, અબડાસાનો કાર્યક્રમ ખરવાડ ગ્રાઉન્ડ છાડુરા,
ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ અને લખપતનો કાર્યક્રમ પી.એમ. લીંબાણી
હાઈસ્કૂલ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો. સ્મૃતિવનના આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય
કેશુભાઇ પટેલ, રેન્જ આઇ.જી. ચિરાગ કોરડિયા, કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા,
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક
કલેક્ટર ડી.પી. ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ,
ભુજ પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ, ભુજ ગ્રામ્ય
મામલતદાર એ.એન. શર્મા, સ્મૃતિવનના મેનેજર મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ
- અધિકારીઓ, યોગસાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા ઉપસ્થિત
રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સંત રામદાસજી દ્વારા
યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠકકરે કર્યું
હતું.