ભુજ, તા. 21 : ગઈકાલે રાતે ભુજના જયનગર પાસે
હોટેલ રેજન્ટાની સામે સ્કોર્પિયોએ એક્ટિવાને ટક્કર મારતાં મૂળ ભેરૈયા હાલે ભુજ રહેતા
35 વર્ષીય યુવાન મનોજગિરિ ચમનગર
ગુસાઈનું ગંભીર ઈજાનાં પગલે કરુણ મોત નીપજ્યું હતું. રાજપર બિલેશ્વર મહાદેવ મંદિરના
મહંત ચમનગર ગોસ્વામીના પુત્ર મનોજગિરિના આ આકસ્મિક નિધનથી ગઢશીશા પંથકમાં શોક ફેલાયો
હતો. આ કરુણ માર્ગઅકસ્માત અંગે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી
વિગતો મુજબ ભુજના મહાવીરનગરમાં રહેતો મૂળ ભેરૈયાનો મનોજગિરિ ગઈકાલે રાતે 11 વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા
નં. જી.જે.-12-એચ.સી.-9075વાળું લઈને જઈ રહ્યો હતો ત્યારે
રેજન્ટા હોટલે પાસે અજાણી કાળા કલરની સ્કોર્પિયો ગાડીએ અડફેટે લેતાં તેને ગંભીર ઈજા
પહોંચતાં પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના
તબીબે મધ્યરાતે મૃત જાહેર કર્યા હતા. આ કરુણ બનાવનાં પગલે અરેરાટી વ્યાપી હતી અને ગઢશીશા
પંથકમાં શોક વ્યાપ્યો હતો. રાજપર બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત ચમનગર ગોસ્વામીના પુત્ર
થાય છે. આજે ભેરૈયા ખાતે નીકળેલી અંતિમયાત્રામાં ભુજ ઉપરાંત ભેરૈયા તથા ગઢશીશા પંથકના
રાજપર, રામપર વેકરા, દરશડી,
મોમાયમોરા અને લુડવા સહિતનાં ગામોમાંથી સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, પરિજનો, અખિલ કચ્છ દશનામ
ગોસ્વામી સમાજના આગેવાનો જોડાયા હતા. તાજેતરમાં જ બિલેશ્વર મહાદેવ ખાતે યોજાયેલી શિવપુરાણ
કથામાં મનોજગિરિનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.