ભુજ, તા. 21 : ગઈકાલે સાંજે અઢી કલાક દરમ્યાન
જ માંડવીના મોટા સલાયાના ઘરના દરવાજાના લોક તોડી તિજોરીમાંથી રોકડા રૂા. 65000 તથા ત્રણ લાખના દાગીનાની ઉઠાંતરી
થતાં પોલીસ દોડતી થઈ છે. ધોળા દિવસે થયેલી આ ચોરીથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ચોરી
અંગે આજે માંડવી મરીન પોલીસ મથકે, મોટા
સલાયામાં કાજીવાલી મસ્જિદની બાજુમાં ગવાખાનું ખાતે રહેતા 70 વર્ષીય પ્રૌઢ ઈશાક ઉમરભાઈ ભુસરે
નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સાંજે છ વાગ્યે ઘર બંધ કરીને તેમના પત્ની તથા દીકરી તેમના
દીકરાના ઘરે ગયા હતા અને રાત્રે 8.30 વાગ્યે પરત
આવતાં ઘરના એલ્યુમિનિયમના દરવાજાનું લોક તૂટેલું હતું અને તેઓના રૂમમાં લાકડાંની તિજોરીના
દરવાજા ખુલ્લા હતા. તિજોરીના ચોરખાનામાંથી
સોનાની ચેઈન 18 તોલાની જેની કિં. રૂા. 3,00,000 તથા 07 ગ્રામની વીંટી કિં. રૂા. 2000 તથા રોકડા રૂા. 65000 તેમજ રોકડ ભરેલો ગલ્લો (જેની
રકમ ખબર નથી) એમ કુલ રૂા. 3,67,000ના
મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો છે. નોંધનીય છે કે, 18 તોલા સોનાની
ચેઈનની કિંમત જે-તે સમયની ખરીદીની કિંમત ત્રણ લાખ લખાવાઈ છે. હાલ સોનાનો ભાવ એક લાખ
સુધી પહોંચતાં આ ચેઈનની કિંમત 17થી 18 લાખ થવા જાય છે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ હોવાથી પોલીસ
તેની દોડધામમાં છે, ત્યારે તસ્કરોએ
પણ જાણે આ રીતે ગેરલાભ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. માંડવી મરીન પોલીસ મથકના પીઆઈ વી.વી.
ભોલાએ આ ચોરીની તપાસ હાથ ધરી છે. પોલીસ કર્મચારીઓને ચોરીના સગડ મેળવવા કામે લગાવતાં
પોલીસ દોડતી થઈ છે. બીજી તરફ ધોળા દિવસે માત્ર અઢી કલાકમાં જ થયેલી આ ચોરીથી તસ્કરો
બેખોફ બન્યાનું ચિત્ર સામે આવતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.