ભુજ, તા. 28 : ચેક પરત ફરવાના જુદા-જુદા બે
કેસમાં ભુજ અને અંજારના આરોપીઓને એક-એક વર્ષની કેદનો હુકમ કોર્ટે આપ્યો છે. ફરિયાદી રમેશભાઈ લાલજીભાઈ ગોરસિયા તથા
આરોપી ભુજના ગિરીશ વી. ઠક્કર (કોટક) વેપાર કરતા હોઈ પરિચય બાદ મિત્રતા થઈ હતી. આરોપીને
રૂા. 1.60 લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલે આપેલો ચેક તા. 17-1-17ના પરત ફરતાં ફરિયાદીએ કોર્ટમાં
કેસ દાખલ કરતાં આ કેસ પુરવાર થતાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ
ફરિયાદીને વળતર પેટે એક માસમાં ચૂકવી આપવા અને જો નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની કેદનો હુકમ કર્યો હતો.
ફરિયાદીના એડવોકેટ તરીકે ધારાશાત્રી કે.પી. ગઢવી હાજર રહ્યા હતા. અન્ય કેસમાં ફરિયાદી
શૈલેશભાઈ રતિલાલ પરમાર (રહે. મેઘપર કું.)એ આરોપી મહિપતસિંહ પી. ચાવડા (રહે. અંજાર)ને
રૂા. આઠ લાખ ઉછીના આપ્યા હતા, જે પેટે
મળેલો ચેક વટાવવા જતાં પરત ફર્યો હતો. આથી અંજાર કોર્ટમાં કેસ દાખલ કરતાં જજ એસ.ડી.
ત્રિપાઠીએ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ રૂા. આઠ લાખ વળતર પેટે
ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે વિજય એમ. ફુફલ, જે.વી. આહીર હાજર રહ્યા હતા.