પહેલગામના આતંકી હુમલા બાદ પાકિસ્તાને પોતાની કોઈ સંડોવણી ન હોવાનું જૂનું પૂરાણું વલણ ફરી એક વખત
ગાવાનું શરૂ કર્યું છે, પણ આ વખતે
પોતાના બચાવમાં વધુ વજન આપવાના ચક્કરમાં પાકિસ્તાને તેની ધરતી પરથી આતંકવાદને મદદ મળતી
હોવાનો સીધો સ્વીકાર કરીને તે માટે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોની ઉપર દોષનો
ટોપલો ઢોળવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કરેલો આ સીધો
સ્વીકાર સાચો હોય તો પણ તેને હવે કિંમત ચૂકવવી પડશે એમાં કોઈ શંકા જણાતી નથી. ભારતની
ઉપર કોઈ પણ આતંકી હુમલા સમયે પોતાનો હાથ ન હોવાનો બચાવ કરવામાં જરા પણ સમય ન વેડફતા
પાકિસ્તાને પહેલગામના હુમલા સમયે સત્તાવાર રીતે તો આવું જ વલણ લઈને આ હુમલાની સામે
સવાલ ખડા કરવાના પ્રયાસ કર્યા છે, પણ તેના સંરક્ષણ મંત્રી ખ્વાજા
આસિફે એક મુલાકાતમાં વટાણા વેરી દીધા કે પાકિસ્તાનમાં આતંકવાદને પોષવામાં પશ્ચિમી દેશોનો
હાથ રહ્યો છે. તેમણે એવો પણ ઘટ્સ્ફોટ કર્યો કે આતંકી સંગઠનોને આ દેશો આર્થિક મદદ કરતા
રહ્યા છે. આ આતંકી સંગઠનો દાયકાઓથી પશ્ચિમના
દેશો માટે ગંદા કામ કરી રહ્યા છે. પાકિસ્તાને ભૂલ એ કરી કે, તેણે
તેમને રોક્યા નહીં જેની કિંમત હવે તે ચૂકવી રહ્યું છે. પાકિસ્તાનના કોઈ જવાબદાર મંત્રીએ
સૌ પ્રથમ વખત આવી વાત કરી છે. હવે સ્વાભાવિક રીતે પાકિસ્તાનને વધુ ગંભીર સવાલોના જવાબો
માટે સાબદા રહવું પડશે. સંરક્ષણ મંત્રીએ અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો જવાબદાર
હોવાની વાત કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે, પણ
હવે તેને જવાબ આપવાનો રહેશે કે, આ દેશોને તેને ત્યાં આતંકી પ્રવૃત્તિને
મદદ કરવાનો છુટો દોર શા માટે અપાયો હતો ?
હવે જ્યારે ભારતે ખરા અર્થમાં બાંયો ચડાવી છે ત્યારે તેણે પોતે
નિર્દોષ હોવાનું બતાવવા પશ્ચિમી દેશોને જવાબદાર શા માટે ઠેરવવાનું વલણ લીધું છે. વળી
ખ્વાજા આસિફે રાજકીય રીતે અગાઉની સરકારોને આ વલણ માટે જવાબદાર ઠેરવાનું વલણ પણ લીધું.
આવા જાણકાર સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની લશ્કર અને તેની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની
આતંકમાં સંડોવણીની કોઈ જાણ ન હોય તે માની શકાય એવી બાબત નથી. વળી તેમણે લશ્કરને આવી
પ્રવૃત્તિ રોકવા કોઈ દબાણ કરવાની હિંમત શા માટે ન બતાવી તેનો જવાબ તેમણે આપવો રહેશે.
આજે આખી દુનિયા જાણે છે કે, પાકિસ્તાન આંતકનું સૌથી મોટું અને
જોખમી કેન્દ્ર બની ગયું છે. વૈશ્વિક આંકડા બતાવે છે કે, છેલ્લા
થોડા વર્ષોમાં પાકિસ્તાનમાં આતંકવાદ ભારે ઝડપભેર વધ્યો છે. આવામાં તેના સંરક્ષણ મંત્રીએ
કરેલો બચાવ તેની માટે વધુ જોખમી બની શકે તેમ છે. ખાસ તો અમેરિકા જેવી પશ્ચિમી મહાસત્તાઓ
પર દોષનો ટોપલો ઢોળવાનો આ પ્રયાસ તેમને પુરાવા આપવાની ફરજ પાડી શકે તેમ છે. અમેરિકા
જેવા દેશો માટે પાકિસ્તાનના મંત્રીનો આવો ઘટ્સ્ફોટ ખરા અર્થમાં બદનામી લાવે તેવો છે.
ખેરખર તો હવે આ દેશોએ પાકિસ્તાનના આ ઈરાદાની સામે વધુ કડક પગલાં લેવામાં પાછીપાની કરવી
જોઈએ નહીં.