નવી દિલ્હી, તા. 10 : ટીમ
ઈન્ડિયા આગામી મહિને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. આ
શ્રેણી પહેલા કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ ટેસ્ટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું હતું.
હવે વિરાટ કોહલી અંગે પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ અનુસાર વિરાટ કોહલી પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી
નિવૃત્તિ લેવા માગે છે. જેની જાણકારી બીસીસીઆઈને પણ આપી દીધી છે. જો કે બોર્ડના ઉચ્ચ
અધિકારીઓએ કોહલીને નિર્ણય ઉપર પુનર્વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. સૂત્રો અનુસાર કોહલીએ
નિર્ણય લઈ લીધો છે અને બીસીસીઆઈને જાણકારી આપી દીધી છે કે તે ટેસ્ટ ક્રિકેટથી દૂર થઈ
રહ્યો છે. જો કે બીસીસીઆઈએ પુનર્વિચાર કરવા કોહલીને આગ્રહ કર્યો છે કારણ કે આગામી સમયમાં
ઈંગ્લેન્ડનો મહત્વનો પ્રવાસ થવાનો છે. જો કે
હજી સુધી અનુરોધ ઉપર કોઈ જવાબ અપાયો નથી. કોહલીના નિર્ણયનો અહેવાલ રોહિત શર્માએ ટેસ્ટ
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અજીત અગરકરની આગેવાનીની
પસંદગી સમિતિ આગામી મહિને ઈંગ્લેન્ડમાં થનારી પાંચ ટેસ્ટની શ્રેણી માટે ટીમની પસંદગી
કરવા અમુક દિવસમાં જ બેઠક કરવાની છે. એવું માનવામાં આવે છે કે કોહલી વર્ષની શરૂઆતે
થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદથી જ ટેસ્ટ અંગે વિચાર કરી રહ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા
પ્રવાસે પહેલી ટેસ્ટમાં સદી કરી હતી પણ બાદમાં સતત નિષ્ફળ થયો હતો અને એક જ રીતે આઉટ
થયો હતો. તેવામાં જો હવે કોહલી પોતાનો નિર્ણય બદલશે નહી તો રોહિત શર્માની પણ ગેરહાજરીમાં
ઓછો અનુભવ ધરાવતી ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે.