ભુજ, તા. 16 : કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા
વરસ્યા બાદ મંગળવારે બપોર બાદથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. આજે છૂટા-છવાયા ઝરમર
છાંટાને બાદ કરતાં કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ સૂર્ય પ્રકાશિત રહ્યું હતું.
અરબી સમુદ્રમાં પહોંચેલી સક્રિય વરસાદી સિસ્ટમ યુ ટર્ન મારીને કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે
આવે તેવી હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના
વચ્ચે ગુરુ અને શુક્ર એમ બે દિવસ જિલ્લામાં પવન-ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસવાની
આગાહી કરાઈ છે. હવામાન વિભાગના સાત દિવસના પૂર્વાનુમાનમાં હવાનું હળવું દબાણ હાલ સૌરાષ્ટ્ર
અને તેને સાંકળતા અરબી સમુદ્ર આસપાસ કેન્દ્રિત હોવાનું જણાવી આ સિસ્ટમ પાછી વળી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠે આવી શકે
છે. જો કે, આ સિસ્ટમ ઘણી નબળી પડવાની
સંભાવના વચ્ચે ગુરુ અને શુક્ર એમ બે દિવસ જિલ્લાના ઘણાખરા અને વિશેષ રીતે કાંઠાળ વિસ્તારમાં
30થી 40 કિ.મી.ની ઝડપે પવન અને તીવ્ર ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસે
તેવી ચેતવણી જારી કરી છે. એ બાદ મહંદશે જિલ્લામાં ધૂપછાંવનો માહોલ યથાવત્ રહેવાની સંભાવના
દેખાડવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમ યુ ટર્ન માર્યા બાદ ઘણી જ નબળી
પડી જવાની છે. એટલે સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા ખૂબ ઓછી છે, આમ છતાં છૂટા-છવાયા વિસ્તારમાં મેઘાવી માહોલ
સર્જાઇ શકે છે.