ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચકાર) તા. ભુજ, તા. 8 : અંજાર તાલુકાના
મોખાણા ગામના રબારી દંપતીએ અજોડ નિર્ણય લઈને પોતાના વ્હાલસોયા પુત્રને વાડીનાથ મંદિર
અખાડાના ચરણે ધરી દીધો છે. મોખાણા રબારીવાસથી `જય હો વાડીનાથ મહારાજ'ના નામ સાથે મોટી સંખ્યામાં રબારી-વિહોતર સમાજ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. છેક
મહેસાણાના તરભ ખાતે આવેલા ભારતભરના રબારી સમાજની ગુરુગાદી સમાન વાડીનાથ અખાડાએ પહોંચીને
પિતા વિસાભાઈ કરમશી કારોતરા અને માતા સોનબાઈએ પુત્ર શ્રીયાંશની અર્પણવિધિ કરી હતી.
મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં સમાજજનો અને સંતોની હાજરીમાં વાડીનાથ મહાદેવ મંદિર અખાડાના
મહંત જયરામગિરિ બાપુએ બાળસંત શ્રીયાંશગિરિ મહારાજ નામકરણ કર્યું હતું અને માતા-પિતાને
આશીર્વાદ આપતાં આ કાર્યને વિહોતર સમાજનો ધર્મ પ્રત્યેનો ત્યાગ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું
કે, આવા કિસ્સા બન્યા છે, બને છે અને બનતા
રહેશે. રબારી સમાજ સદા સનાતન ધર્મ સંસ્કૃતિ અર્થે ત્યાગ અને સેવા માટે તત્પર હોય છે.