અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 12 : કચ્છી સમુદાયના સભ્યોને એકસાથે
લાવવા અને તેમને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી 1973માં કવીઓ ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ
એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (કવીઓસીએ)ની સ્થાપના કચ્છી સમુદાયના પ્રથમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
દેવચંદભાઈ રાવજી ગાલાએ કરી હતી. આજે કવીઓસીએમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી
સહિત 2,500થી વધુ સભ્યો છે.
માટુંગામાં યોજાયું `ટ્રસ્ટ મંથન'
તાજેતરમાં કવીઓસીએએ માટુંગા સ્થિત નારાયણજી શામજી વાડી ખાતે
વડો મહાજન, માટુંગા બોર્ડિંગ અને ભાણબાઈ
નેણશી મહિલા વિદ્યાલયના સહયોગથી `ટ્રસ્ટ મંથન' નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં 600થી વધુ લોકો જોડાયા હતા. આ
કાર્યક્રમનું સંચાલન કવીઓસીએના ભૂતપૂર્વ પ્રમુખ સીએ નીતિન મારુએ કર્યું હતું. બે મુખ્ય
વક્તાઓ સીએ ગૌતમ નાયક અને સીએ (ડો.) ગૌતમ શાહે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના
કન્વીનર સીએ હેતલ ગડા હતા.
ટ્રસ્ટ સંબંધિત કાયદાઓમાં ઘણા ફેરફાર થયા છે
મંથન એટલે ફક્ત ચર્ચા નહીં,
પણ શ્રેષ્ઠ વિચારને બહાર નીકળવાની પ્રક્રિયા તેવા વિચાર સાથે યોજાયેલા
કાર્યક્રમ દરમિયાન સીએ ગૌતમ મોતા (કવીઓસીએના પ્રમુખ)એ જણાવ્યું હતું કે, છેલ્લા 7થી 8 વર્ષોમાં ટ્રસ્ટ સંબંધિત કાયદાઓમાં ઘણા
ફેરફારો થયા છે, જેના વિશે ઘણા લોકો હજુ
પણ જાણતા નથી. 2022થી ટ્રસ્ટો
માટે આવકવેરામાં 35થી વધુ ફેરફારો
થયા છે.
પારદર્શક અને અસરકારક સંચાલન અંગે માર્ગદર્શન
સીએ (ડો.) ગૌતમ શાહે કહ્યું હતું કે, ટ્રસ્ટ મંથન એ માત્ર કાયદાકીય સભાનું પ્રમાણ
નથી, પરંતુ ટ્રસ્ટોના વધુ પારદર્શક, અને
અસરકારક સંચાલન માટે પણ માર્ગદર્શન આપે છે.
જટિલ કાયદાઓની સમજ અપાઈ
ગૌતમ નાયકે જણાવ્યું હતું કે,
મોટી સંખ્યામાં હાજર રહેલા ટ્રસ્ટીઓએ તાજેતરના વર્ષોમાં ચેરિટેબલ અને
ધાર્મિક ટ્રસ્ટો દ્વારા સામનો કરવામાં આવતા જટિલ કર, કાનૂની અને
પાલન મુદ્દાઓ અંગે તેમની ચિંતાઓ દર્શાવી હતી. તેઓ આ બાબતો પર યોગ્ય કાયદાની સ્થિતિને
વધુ સારી રીતે સમજવા માગતા હતા.
સેતુ રચવાનો નમ્ર પ્રયાસ
શ્રી મારુએ કહ્યું હતું કે,
ચેરિટી માત્ર દાન સેવાભાવ પૂરતું મર્યાદિત નથી; તે ધર્મ અને સમાજસેવા પણ અવિભાજ્ય અંગ છે અને એક વિચાર વિચારમંથનના સેતુની
રચના એ અમારો નમ્ર પ્રયાસ હતો. ઘણા ટ્રસ્ટીઓમાં તેમની જવાબદારીઓ અને કાયદા તથા નિયમોમાં
વારંવાર થતા ફેરફારો અંગે જાગૃતિનો અભાવ સહિતની ચિંતાઓ પર ચર્ચાઓ થઈ હતી, તો ઘણી વખત લોકો ટ્રસ્ટમાં નામ અથવા હોદ્દો શોધે છે, પરંતુ આવી ભૂમિકા સાથે આવતી જવાબદારીઓને સંપૂર્ણપણે સમજી શકતા નથી અથવા પૂર્ણ
કરી શકતા નથી. કેટલીકવાર મની લોન્ડારિંગ ટ્રસ્ટ દ્વારા પણ કરવામાં આવે છે.