કુકમા (તા. ભુજ) તા. 6 : આજે જયારે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જરૂરીયાત બની છે ત્યારે
ખેડૂતોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશ્યથી પ્રકાશિત પુસ્તક `આવો એક નવી ક્રાંતિનો પ્રારંભ કરીએ... પ્રાકૃતિક
ખેતી કરીએનુ વિમોચન લોકભવન ગાંધીનગર ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય
દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું હતું મૂળ
મોટા આસોટા, દેવભૂમિ દ્વારકાના વતની
અને હાલ શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ડો. વિરાભાઈ
બી. ચાવડા દ્વારા લિખિત પુસ્તકના વિમોચન પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,
`રાસાયણિક ખેતીને કારણે જળ, જમીન અને સ્વાસ્થ્ય ત્રણેય જોખમાયા છે. આવા
સમયે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે અનિવાર્ય છે. આ પુસ્તક ખેડૂતો અને કૃષિ પ્રેમીઓ
માટે માર્ગદર્શક સાબિત થશે.` તેમણે લેખકના આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે સાહિત્ય દ્વારા
કૃષિ ક્રાંતિ લાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ અવસરે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ
યુનિવર્સીટી હાલોલના કુલપતિ ડો. સી. કે. ટિમ્બડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. ચાવડાએ ગાય આધારિત પ્રાકૃતિક વિષયમાં વિશેષ
એવી ડોકટરેટની પદવી પણ મેળવી છે અને તેઓ આ વિષયને લઈને વ્યાખ્યાનો પણ આપી ચુક્યા છે.
હાલમાં તેઓ શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે આ વિષયને આગળ વધારી રહ્યા છે. ટ્રસ્ટના મેનેજીંગ
ટ્રસ્ટી ડો. મનોજભાઈ સોલંકીએ પણ આ પુસ્તક ખેડૂતોને ખુબ ઉપયોગી થશે તેવો વિશ્વાસ વ્યકત
કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.