ભુજ, તા. 6 : વડનગરા
નાગર અને કાયદાના જાણકાર કચ્છના આગેવાન,
સામાજિક કાર્યકર મૃદુલભાઇ ધોળકિયાનું 89 વર્ષની
વયે નિધન થયું હતું. સદ્ગત ગૃહ ફાયનાન્સમાં કચ્છ જિલ્લાના ડાયરેક્ટર, જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજના
સ્થાપક, મોરારજી દેસાઇ વડાપ્રધાન હતા તે વખતના જનતા પાર્ટીના
અગ્રણી નેતા, મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલના નિકટવર્તી
રહી ચૂક્યા હતા. કચ્છ રેલવે પેસેન્જર્સ એસો.ના પ્રમુખ હોવાના નાતે તેમણે બ્રોડગેજ
માટે ખૂબ મહેનત કરેલી અને સરદાર પટેલ ટ્રસ્ટના સભ્ય હતા, સ્ટેટ
ટ્રાન્સ. ઓથોરિટીમાં ડાયરેક્ટર હતા. તેમના નિધનથી શોકનું મોજું પ્રસરી ગયું હતું.
વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને આદરાંજલિ અપાઇ હતી, જે અંતર્ગત
ફૂલશંકર પટ્ટણી સ્મારક સમિતિના અધ્યક્ષ મૃદુલચંદ્ર ધોળકિયાના અવસાનથી શોક ફેલાયો
છે, એવું સમિતિના મંત્રી અવિનાશ વૈદ્ય અને સભ્ય ચંદ્રવદન
પટ્ટણીએ જણાવ્યું હતું. તેઓ 1993માં રચાયેલી સ્મારક સમિતિની
સ્થાપનાથી સક્રિય રીતે સંકળાયેલા હતા તથા લાંબા સમય સુધી સમિતિના મંત્રીપદે રહ્યા
હતા. સમિતિ દ્વારા યોજાતા પત્રકાર એવોર્ડ સમારોહમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
દરમ્યાન, કચ્છ
હાઉસિંગ સોસાયટીના ફેડરેશનના પ્રમુખ દેવરાજભાઇ ગઢવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં
ફેડરેશનના સ્થાપક પ્રમુખ સ્વ. મૃદુલભાઇને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સહકારી ક્ષેત્રની
લાંબા સમયની સેવા તેમજ ભવિષ્ય માટેની તેમની દીર્ઘદૃષ્ટિની સરાહના કરાઇ હતી. સહકારી
ક્ષેઁત્રની જાણકાર વ્યક્તિને ગુમાવવાની લાગણી વ્યક્ત થઇ હતી. મહામંત્રી જગદીશભાઇ
મહેતાએ સદ્ગત દ્વારા કચ્છભરમાં હાઉસિંગ સોસાયટીના પ્રશ્નોની વાચા આપનારી, દીર્ઘકાલીન સેવાની નોંધ લેવાઇ હતી અને શ્રદ્ધાંજલિ ઠરાવનું વાચન કરાયું
હતું. સભ્યો ભાનુબેન કોઠારી, ભ્રાંતિબેન વોરા, બાપાલાલ જાડેજા તથા પ્રવીણભાઇ ઠક્કર સહિતના સભ્યોએ ભાવાંજલિ આપી હતી.