ભુજ, તા. 21 : એક તરફ કચ્છમાં વિમાની સેવાના
વ્યાપના વિસ્તારની મોટી-મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ જિલ્લા મથકના એરપોર્ટ પર વિવિધ
પ્રકારની સુવિધાના અભાવના લીધે વિમાની સેવાના વિકાસમાં અવરોધ ઊભો થઈ રહ્યો હોવાની વિગતો
સામે આવી રહી છે. હાલમાં જ એર ઈન્ડિયાએ તેની
બપોરની ફ્લાઈટ પહેલી જુલાઈથી બંધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે જો ભુજ વિમાની મથકે જોવા મળતો આ સુવિધાનો
અભાવ નિવારવામાં નહીં આવે તો વધુ ફ્લાઈટ ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ
થઈ રહ્યું છે. મસ્કત ગુજરાતી સમાજ અને કચ્છ ગ્લોબલ ફાઉન્ડેશનના અગ્રણી ચંદ્રકાંત ચોથાણીએ
પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓપરેશનલ પડકારોને કારણે
એર ઈન્ડિયાએ ભુજથી બીજી મુંબઈ ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમારા સતત પ્રયાસો
છતાં એરપોર્ટ પર સલામત અને સરળ કામગીરી માટે જરૂરી ઘણી મહત્ત્વપૂર્ણ સુવિધાઓનો અભાવ
નિવારી શકાયો નથી. ભુજ વિમાની મથકે સીઆઈએસએફની
અપૂરતી તૈનાતી, વાઈફાઈ, ક્રીનિંગ
મશીન સહિતનો અભાવ ખલેલ પહોંચાડી રહ્યો છે. ખૂબ જ જરૂરી ટર્મિનલ વિસ્તરણ કાર્ય લગભગ
બે વર્ષથી વિલંબિત છે. મુસાફરલક્ષી અભિગમ અપનાવવામાં અવરોધ સર્જાઈ રહ્યો છે. જ્યાં
સુધી મૂળભૂત એરપોર્ટ ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી વધારાની ફ્લાઈટ્સનું સંચાલન ટકાઉ
નથી, ત્યારે વિમાની સેવાના વિકાસને ધ્યાને લઈ જરૂરી સુધારાઓ ઝડપભેર
અમલી બનાવાય તેવી માગણી કરવામાં આવી છે. મસ્કત ગુજરાતી સમાજ, કચ્છ ગ્લોબલ ફેડરેશન, વિશ્વ ગુજરાતી સમાજ સહિત અન્ય સંસ્થાના
અગ્રણીઓએ આ મુદ્દે જવાબદારોનું ધ્યાન દોર્યું હતું.