નવી દિલ્હી, તા. 26 : આગોતરા જામીન
અને અદાલતી ક્ષેત્રાધિકાર પર દેશની સર્વોચ્ય અદાલતે મહત્ત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ
કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ આરોપીની
આગોતરા જામીનની અરજી ફગાવતી અદાલતનો અધિકાર છે, પરંતુ આરોપીને
સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ શરણે થવાનો નિર્દેશ દેવાની શક્તિ કોર્ટ પાસે નથી. જસ્ટિસ
જે.બી. પારડીવાલા અને ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે એક મામલાની સુનાવણી દરમ્યાન આવી ટિપ્પણી
કરી હતી. અદાલત પાસે એવું કહેવા માટે કોઈ કાનૂની અધિકાર નથી કે, આરોપી ફરજિયાતપણે આત્મસમર્પણ કરે, તેવું સુપ્રીમે કહ્યું
હતું. આ સમગ્ર મામલો ઝારખંડ હાઈકોર્ટના એક જૂના આદેશમાંથી આવ્યો હતો. હાઈકોર્ટે જમીન
વિવાદ મામલામાં આગોતરા જામીનની માંગ રદ કરી નાખી હતી. સાથોસાથ નીચલી અદાલત સમક્ષ આત્મસમર્પણ
કરી, નિયમિત જામીન માટે અરજી કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલાના
સંબંધમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અદાલતો જામીનની માંગ
રદ કરી શકે, પણ શરણે થવાનો નિર્દેશ ન દઈ શકે.