નવી દિલ્હી, તા. 18 : આઈપેક કચેરી
અને પ્રતીક જૈનના ઘર પર દરોડાના મામલામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝટકો આપતાં સુપ્રીમ
કોર્ટે તૃણમૂલ સુપ્રીમોને કહ્યું હતું કે, ઈડીની કાર્યવાહીમાં તમે જે કર્યું તે ખોટું હતું. સુપ્રીમે કડક વલણ અપનાવતાં
બંગાળના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, આપે એક સાવ ખોટી પરંપરાની
શરૂઆત કરી. અન્ય મુખ્યમંત્રીઓ પણ આવું કરી શકે છે. ન્યાયૂમૂર્તિ પ્રશાંતકુમાર મિશ્રાએ
કહ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સી જ્યાં તપાસ કરી રહી હોય
તે સ્થળે કોઈ મુખ્યમંત્રીને ઘૂસી જતા જોવા
દુ:ખદ છે. જો બંધારણની કલમ 32 કે 226 હેઠળ કેસ
નોંધી નથી શકાતો, તો પછી શું
કરી શકાય? કાલે ઊઠીને કોઈને કોઈ બીજા મુખ્યમંત્રી આવી રીતે તપાસમાં
અવરોધ સર્જી શકે છે, તેવું તેમણે કહ્યું હતું. ન્યાયમૂર્તિ મિશ્રા
સાથે મૂળ કચ્છના એન.વી. અંજારિયાની ખંડપીઠે મામલાની સુનાવણી કરતાં મમતા સરકારને ફટકાર
લગાવી હતી. દરમ્યાન, બંગાળ સરકારે વધુ એકવાર આ મામલામાં સુપ્રીમ
કોર્ટ પાસે સમય માગ્યો હતો. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અરજી કરી હતી. સોલિસીટર જનરલ
તુષાર મહેતાએ આ માંગ પર કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીની તપાસમાં
મુખ્યમંત્રી દાખલ કરી રહ્યા છે. ચાર સપ્તાહના સમય પહેલાં જ અપાઈ ચૂક્યો છે. હવે આ સમયની
બરબાદી છે.