નવી દિલ્હી, તા. 21 : એક
તરફ દિવાળીનાં મહાપર્વે દેશભરમાં લોકોએ ધૂમ ખરીદી કરી છે, તો બીજી તરફ આ ખરીદીમાં
ભારતીય બનાવટનાં ઉત્પાદનો ગ્રાહકોની પહેલી પસંદ બન્યા હોવાનું કન્ફેડરેશન ઓફ ઓલ
ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)ના હેવાલમાં દાવો કરાયો છે, જેમાં
કુલ વેપારમાં 5.40 લાખ કરોડ રૂપિયાનો માલ અને 65,000 કરોડ
રૂપિયાની સેવાઓનો સમાવેશ થાય છે,
જે ભારતના વેપાર ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ દિવાળીનો વ્યવસાય
છે. આ વખતે દિવાળીમાં વેચાણ 6.05 લાખ કરોડ રૂપિયા થયું છે, જેમાં 87 ટકા ગ્રાહકોએ
ભારતીય બનાવટના ઉત્પાદનો પસંદ કર્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, ભારતીય બનાવટના
ઉત્પાદનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 25 ટકાનો વધારો થયો છે, આ વર્ષે રૂા. 6.05 લાખ
કરોડનો વેપાર થયો છે, જે 2024માં રૂા. 4.25 લાખ કરોડ કરતાં 25 ટકા
વધુ હોવાના તારણો સીએઆઈટીના દિવાળી ફેસ્ટિવલ સેલ્સ પરનાસંશોધન અહેવાલમાંથી આવ્યા
છે ભારતમાં આ વર્ષે ઐતિહાસિક તહેવારોની મોસમ જોવા મળી હતી. દિવાળીમાં રૂા. 6.05 લાખ
કરોડનું વિક્રમી વેચાણ થયું હતું,
જે ભારતના રિટેલ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અને `વોકલ ફોર
લોકલ' અભિયાનની
વધતી અસરને દર્શાવે છે. સીએઆઈટીના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે,
આ અહેવાલ જીએસટી તર્કસંગતીકરણ અને સ્વદેશી અપનાવવા માટે `મજબૂત
બ્રાન્ડ એમ્બેસેડર' તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને પ્રકાશિત કરે છે. વધુમાં તેમણે
જણાવ્યું હતું કે, ખરીદી કરનારા 87 ટકા
ગ્રાહકો ભારતીય બનાવટના ઉત્પાદનોને પસંદ કરે છે, જેના કારણે ચીની વસ્તુઓની માંગમાં તીવ્ર
ઘટાડો થયો છે. બીજી તરફ પરંપરાગત અને બિન-કોર્પોરેટ છૂટક બજારો કુલ વેપારમાં 85 ટકા
હિસ્સો ધરાવે છે, જે ભારતના નાના વેપારીઓ અને ભૌતિક બજારોના શક્તિશાળી પુનરુત્થાનને
પ્રતાબિંબિત કરે છે. નોંધનીય છે કે, સીએઆઈટી રિસર્ચ એન્ડ
ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા 60 મુખ્ય વિતરણ કેન્દ્રો, જેમાં મેટ્રો, રાજ્યની રાજધાની અને ટાયર-2 અને 3 શહેરો
સામેલ કરાયા હતા.