નવી દિલ્હી, તા. 10 : `ઓપરેશન
સિંદૂર'
બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની
સેનાએ આજે દિલ્હી પર `ફતેહ-2' બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યાનો
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો જો કે, ભારતના
એર ડિફેન્સ સિસ્ટમે તેને અધવચ્ચે જ નાકામ બનાવ્યો હતો. મળતી વિગતો મુજબ ભારતની કાર્યવાહીથી
પારાવાર પરેશાન પાડોશીએ આજે સવારે દિલ્હીને નિશાને રાખીને ફતહ-ટુ મિસાઈલ છોડી હતી જેને
ભારતીય સેનાએ હરિયાણાના સિરસામાં જ નષ્ટ કરી હતી. જાણકારોનું કહેવું છે કે ફતહ-ટુ જમીનથી
જમીન પર માર કરનારી હાઈપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની મારક ક્ષમતા 250થી
400 કિલોમીટર
છે. આ મિસાઈલને ઈરાન દ્વારા વિકસિત કરવામાં આવી છે. પાકિસ્તાનને તેની આ મિસાઈલનું ઘમંડ
હતું પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને હવામાં જ નષ્ટ કરી દઈને તાકાતનો પરચો આપી
દીધો છે. ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને ઓપરેશન બુનિયાન અલ મર્સૂસ (દૃઢતાથી
જોડાયેલી સંરચના) લોન્ચ કર્યુ હતું. શનિવારે
વહેલી સવારે પહેલીવાર લાંબા અંતરની ફતેહ-ર બેલેસ્ટિક મિસાઈલ (રેન્જ રપ0-400 કિમી)નો
ઉપયોગ કર્યો હતો. જો કે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને
આંતરી હરિયાણાના સિરસામાં જ તોડી પાડી હતી. બિનસત્તાવાર અહેવાલ મુજબ આ મિસાઈલ રાજધાની
દિલ્હીને નિશાન બનાવી દાગવામાં આવી હતી.શુક્રવારે રાત્રે પાકિસ્તાને બાડમેર,
જેસલમેર અને શ્રીગંગાનગર પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતની
એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. રાજસ્થાનમાં
બ્લેકઆઉટ વચ્ચે આખી રાત ડ્રોન દેખાયા બાદ શનિવારે સવારથી સરહદી વિસ્તારોમાં સતત સાયરન
વાગ્યા હતા અને પ્રશાસન દ્વારા રેડએલર્ટ જાહેર કરાયું હતું. બાડમેરના જિલ્લા મેજિસ્ટ્રેટ
ટીના ડાબીએ જાહેર એલાનમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરી તમામ લોકોને તુરંત પોતાનાં ઘરે પહોંચી
જવા આદેશ આપ્યો હતો. બજારો ટપોટપ બંધ થઈ ગઈ અને જાહેર સ્થળો ખાલી કરાવાયાં હતાં.