આનંદ કે. વ્યાસ તરફથી : નવી
દિલ્હી,
તા. 8 : `ઓપરેશન સિંદૂર' હેઠળ
ભારતીય સેનાના ખતરનાક હુમલાથી રઘવાયાં બનેલાં પાકિસ્તાને રાતના અંધારામાં ભારતના 15 સ્થળોને નિશાન બનાવવાની
ગુસ્તાખી કરી હતી. ભારતે જડબાંતોડ જવાબ આપતાં રશિયા તરફથી મળેલી એસ-400 સંરક્ષણ
પ્રણાલીની મદદથી નાપાક પ્રયાસ નાકામ કરી નાખ્યો હતો. લાહોરમાં પાકિસ્તાની હવાઇ સંરક્ષણ
પ્રણાલીને ભારતીય સેનાએ તબાહ કરી નાખતાં આકરો
સંદેશ આપ્યો હતો કે, પાક કોઇ દુ:સાહસ કરશે તો ભારત
તરફથી તેનો વળતો જવાબ આપશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં માત્ર આતંકવાદી ઠેકાણાંઓને જ ધ્વસ્ત કર્યા છે.
પાકની સેના કે સામાન્ય નાગરિકો પર નિશાન નથી સાધ્યું. યુદ્ધ ભડકે તેવા કોઇ હુમલા કરાયા
નથી. પાકિસ્તાને કચ્છના સીમાવર્તી ક્ષેત્રે, કાશ્મીરના વિવિધ
વિસ્તારો, પંજાબના ભાગો સહિત 15 ભારતીય
સ્થળો પર નિશાન સાધવાની નાપાક કોશિશ રાતના અંધારામાં કરી હતી. પાકે બુધવારની રાતથી
ગુરુવાર સવાર સુધીમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર,
કપુરથલા, જલંધર, લુધિયાણા,
આમદપુર, ભટિંડા, ચંડિગઢ,
નાલ, ફલોદી, ઉત્તરલાઇ અને
કચ્છના સીમાવર્તી વિસ્તાર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના 15 જેટલા
સેનાના મુખ્યાલયો ઉપર ડ્રોન અને મિસાઇલોથી પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ આજે સંરક્ષણ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું હતું. જો કે, ભારતીય સેનાએ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર અનમાન્ડ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમથી
આ દુ:સાહસને નિષ્ફળ બનાવ્યું હતું. અખબારી યાદી મુજબ પાકિસ્તાન તરફથી આવી ઉશ્કેરણીજનક
કાર્યવાહી થયેલી એના બોલતા પુરાવા વિવિધ સ્થળેથી મળેલો લશ્કરી સરંજામનો કાટમાળ છે.