ગાંધીધામ / ભુજ, તા. 21: અંજારના વરસાણામાં
બબલુ પ્રશાંતો વરમાન (ઉ.વ. 28) નામનો યુવાન
ઈન્જેકશન મારેલ હાલતમાં મૃત મળી આવ્યો હતો. બીજી બાજુ આદિપુરમાં પ્રદીપ જયંતી પંડયા
(ઉ.વ. 57)એ ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો
તેમજ મોટી ચીરઈમાં પાલા રાણા રબારી (ઉ.વ. 29)ની લાશ તળાવમાંથી મળી હતી. બીજી તરફ મમુઆરા પાસે બાઈક સ્લીપ
થતાં ધ્રંગના 39 વર્ષીય યુવાન ઉમર ઉસ્માન ચાવડાનું
મોત નીપજ્યું હતું. વરસાણાની ચૌધરી ટિમ્બરમાં બાથરૂમ બહાર ગઈકાલે સવારે આ બનાવ બહાર
આવ્યો હતો. બબલુ નામના યુવાન હાથમાં ઈન્જેક્શન મારેલ તથા ડાબા હાથમાં ઈજા તેમજ નાક, મોઢામાંથી લોહી નીકળતી હાલતમાં મળ્યો હતો. તેને
સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનની લાશને
જામનગર ખાતે મોકલી દેવાઈ હતી. ખરેખર આ યુવાનનું મોત કેવી રીતે થયું તે રહસ્ય છે. જેની
આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ આદિપુરમાં 4-એ હનુમાન મંદિરની બાજુમાં રહેતા પ્રદીપ
પંડયા નામના આધેડે જીવન ટૂંકાવી લીધું હતું. આધેડ પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર
તેમણે પંખામાં કપડા સુકાવવાની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો તેમજ મોટી ચીરઈ
તળાવમાં મળેલી લાશ પાલા રાણા રબારી નામના યુવાનની હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ ગત તા. 19/6ના સાંજે બાઈક પર સવાર ધ્રંગનો
ઉમર ચાવડા મમુઆરા પાસે આશાપુરા કંપની પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાઈક સ્લીપ થતાં તેને માથામાં ગંભીર
પ્રકારની ઈજા પહોંચતાં સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો,
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં
લખાવાઈ છે.