ભુજ, તા. 1 : ચેક પરત ફરવાના જુદા-જુદા ત્રણ કેસમાં ત્રણે
આરોપીને એક-એક વર્ષની સજા ફટકારતા ચુકાદા અદાલતો દ્વારા અપાયા છે. ફરિયાદી ડો.
જિગર સુબોધભાઇ ઠક્કર દ્વારા આરોપી રાજેશભાઇ મોહનલાલ સંગોઇ (વર્ધમાન
એન્ટરપ્ર્રાઇઝના પ્રોપરાઇટર) વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ
કાયદેસરનાં લેણા પેટે રૂા. પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે અપૂરતા ભંડોળના લીધે પરત
ફર્યો હતો. અદાલતે આરોપી રાજેશભાઇને દોષિત ઠેરવી
એક વર્ષની સાદી કેદ તથા ફરિયાદીને રૂા. 7.50 લાખ
વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. બીજા કેસમાં ફરિયાદી પ્રવીણ દયારામ પૂજારાને આરોપી
સુલતાન લતીફ નાગિયાએ લેણાની ચૂકવણી માટે આપેલો રૂા. 10 લાખનો
ચેક પરત ફરતાં કેસ દાખલ કરાવ્યો હતો. કોર્ટે આરોપીને કસૂરવાન ઠેરવી એક વર્ષની સાદી
કેદ તથા રૂા. 10.10 લાખ
વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. બંને કેસમાં પક્ષે એડવોકેટ કૌશલ કિરણ
ગણાત્રા,
વિજય બી. ત્રિપાઠી, ભૂમિતગિરિ એમ. ગોસ્વામી
હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા કેસમાં ફરિયાદી કૈલાસ શંકરલાલ પારીખ દ્વારા આરોપી
નીલેશ દયાળજી ઠક્કર વિરુદ્ધ ચેક પરત અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીએ
કાયદેસરના લેણા પેટે રૂા. 2.80 લાખનો ચેક આપ્યો હતો. જે
અપૂરતા ભંડોળના લીધે પરત ફર્યો હતો. આરોપી નીલેશને કોર્ટે દોષિત ઠેરવી એક વર્ષની
સાદી કેદની સજા તથા રૂા. 2.90 લાખ
વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી પક્ષે એડવોકેટ વિજય બી. ત્રિપાઠી હાજર રહ્યા હતા.