વસંત પટેલ દ્વારા : કેરા, (તા.
ભુજ), તા. 20 : ન માત્ર સહાનુભૂતિ
પણ સમાનુભૂતિ અનુભવતા બિનનિવાસી કચ્છીઓ દ્વારા યુ.કે. લેવા પટેલ કોમ્યુનિટી સંસ્થાના
માધ્યમે નેપાળના આફતગ્રસ્તો માટે એક લાખ પાઉન્ડ જેટલી માતબર રાશિ એકત્ર કરી છે. ચેરિટી
ભજન સંધ્યા સ્ટેનનોર મંદિર હોલમાં યોજાઇ હતી. કોમ્યુનિટીએ `ઇન્ડિયા ગાર્ડન' સર્જન સાથે વધુ એક સેવાશ્રુતિ અર્પણ કરી હતી.
જ્યારેટ-જ્યારે ભારતમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ કેર વર્તાવે ત્યારે હમવતનીઓ માટે
કરુણાનો ધોધ વહાવતા બ્રિટનવાસી કચ્છીઓ આગળ આવ્યા છે. તાજેતરમાં નેપાળમાં વાદળ ફાટવાથી
સર્જાયેલ દુર્ઘટનામાં હજારો હિન્દુ ભારતીયો મલબામાં દટાઇ ગયા હતા. તેમના અત્યંત કપરા સમયે પુન:ર્વસન
માટે આ ભજન સંધ્યા જાણીતા કચ્છી દાનવીર સામજીભાઇ દબાસિયા, લક્ષ્મણભાઇ
બર્નટોક, કચ્છ લેવા પટેલ કોમ્યુનિટીના કર્મઠ અધ્યક્ષ માવજીભાઇ
વેકરિયા, રવિભાઇ વરસાણી, વિનોદભાઇ ગાજપરિયા
સહિતની તમામ ટીમે યોજી હતી. તે માટે સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરે હોલ આપ્યો હતો. સ્થાનિક
કલાકારોએ રાત્રે 12 વાગ્યા સુધી
કચ્છી, ગુજરાતી અને પરંપરાગત લોકસંગીત, સંતવાણી, આરતી, ધૂન રજૂ કર્યા હતા.
પ્રારંભે માવજીભાઇ કેન્ફોર્ફે કહ્યું કે, આપણે અહીં સુખી છીએ
પણ આપણાં જ ભાઇઓ કુદરતી આપદાનો ભોગ બન્યા છે તેથી સૌએ સાથ આપવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય
છે કે કોરોના વખતે લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.એ ભુજ સમાજને પાંચ કરોડ રૂપિયા જ્યારે
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની અપીલથી લંડનના બાપાના ભક્તોએ ત્રણ કરોડ રૂપિયાના
દાનથી ભુજ સમાજને સંજીવની ઓક્સિજન યુનિટ આપ્યું હતું, જેની અર્પણવિધિ
આચાર્ય જિતેન્દ્રિયપ્રિય સ્વામી અને મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિય સ્વામીએ કરી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિર હસ્તકના વિલ્સડન, સ્ટેનમોર, હેરો-કેન્ટન, વુલ્વીય, કાર્ડિફ,
બોલ્ટન સહિતના મંદિરોના હરિભક્તોએ લંડનમાં હોસ્ટિલોમાં ગરમાગરમ ભોજન
આપ્યું હતું. વિલ્સડન મંદિરે તો લાતુરમાં સ્કૂલ બાંધી હતી. આ વખતે એકત્ર ચેરિટી યોગ્ય
જગ્યાએ અર્પણ કરવા કચ્છી દાનવીર અને સેંકડો વિદ્યાર્થીઓને વિશ્વભરમાં નિ:શુલ્ક ભણાવતા
સામજીભાઇ શિવજી દબાસિયા ખુદ નેપાળ આવશે તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું હતું. ટ્રસ્ટના
દાતા શશિકાંતભાઇ વેકરિયા તેમજ કચ્છી આગેવાનો સહિત 400 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.