ચોબારી, તા. 19 : કચ્છમાં પ્રવાસન હરણફાળ ભરી
રહ્યું છે, ત્યારે રણ સિવાય પણ ઘણા
બધા પ્રવાસનનાં સ્થળો છે, જે પ્રવાસીઓને આકર્ષી શકે તેમ છે. પૂર્વ
કચ્છમાં આ માટે અનેક ઊજળી તકો રહેલી છે. અંજાર, ગાંધીધામ,
ભચાઉ તથા રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં કલાકારો અને કારીગરો ખૂબ જ ખ્યાતિ
ધરાવે છે, પરંતુ સહેલાણીઓ પૂર્વ કચ્છના કલાકારો સુધી પહોંચતા
નથી, જેના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસન માટે યોગ્ય સર્કિટ
બને અને સ્થાનિકોને રોજગારી મળે તે સહિતની બાબતોને લઈને જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં
આવી છે. પૂર્વ કચ્છ પ્રવાસનની ટીમ બનાવાઈ છે. પ્રતિનિધિ ચોબારીના રામજી મેરિયા અને
ભાદરોઈના પાબીબેન રબારી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કચ્છમાં આવતા
પ્રવાસીઓ ભુજોડી થઈને પૂર્વ કચ્છ તરફ આવતા નથી સ્મૃતિવન હસ્તકલા ગેલેરીનું પાબીબેનના
હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ આવા કારીગરોને અંદર
એન્ટ્રી પણ અપાતી નથી. અન્ય લોકોનો અંદર માલ
વેચાય છે, પૂર્વ કચ્છમાં
વાગડ વિસ્તારમાં અનેક ધાર્મિક ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સ્થાનો છે. આ ઉપરાંત એકલનું
સફેદ રણ તથા રોડ ટુ હેવન વગેરે આકર્ષણનાં કેન્દ્રો છે. ઉપરાંત કંડલા પોર્ટ, જેસલ-તોરલ
સમાધિ, સૂડી-ચપ્પુ ઉદ્યોગ, ચોબારીનો મીઠો
માવો, વ્રજવાણી સ્મારક, વાગડના લોકમેળા
વણાટકામ વગેરે પ્રવાસન માટે મહત્ત્વનાં સ્થળો છે. જિલ્લા કલેક્ટરને આ બધી બાબતોથી અવગત
કરાવવામાં આવ્યા હતા. કલેક્ટર અનિલ રાણાવાસિયાએ
યોગ્ય કરવાની ખાતરી આપી હતી. પૂર્વ કચ્છના પ્રવાસન માટે રોડમેપ બનાવીને તેમનું આયોજન
કરવામાં આવે, તો ખરેખર પ્રવાસનને વધુ વેગ મળે તેમ છે. તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરાય તે જરૂરી હોવાનું જણાવાયું હતું.